યુનાઇટેડ નેશન્સમાં ભારતને એક મોટી સફળતા મળી છે. ભારતીય રાજદ્વારી વિદિશા મિત્રાને એડમિનિસ્ટ્રેટિવ અને બજેટ સંબંધી પ્રશ્ન પર સંયુક્ત રાષ્ટ્રની સલાહકાર સમિતિના સદસ્ય બની ગયા છે.
આ યુનાઇટેડ નેશન્સનો એક પેટા વિભાગ છે. એશિયા પેસિફિક રાષ્ટ્રોના જૂથમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશનના પ્રથમ સચિવ મિત્રાને 126 મતો મળ્યા.
જનરલ એસેમ્બલી એડવાઇઝરી કમિટી સભ્યોની નિમણૂક કરે છે. સભ્યોની પસંદગી ભૌગોલિક પ્રતિનિધિત્વ, વ્યક્તિગત લાયકાતો અને અનુભવના આધારે કરવામાં આવે છે. એશિયા-પેસિફિક દેશોના જૂથમાંથી નામાંકિત થયેલ બે ઉમેદવારોમાં મિત્રા એક છે.
ભારત બે વર્ષ માટે UN સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્યપદે
આ જૂથમાં ઇરાકના અલી મોહમ્મદ ફૈક અલ-દબગને 64 મત મળ્યા છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો હશે જે 1 જાન્યુઆરી 2021 થી શરૂ થશે.
નોંધનીય છે કે ભારત જાન્યુઆરી 2021થી બે વર્ષ માટે UN સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે પદ સંભાળવાની તૈયારી કરી રહ્યું છે.
સંયુક્તરાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોના જબરદસ્ત સમર્થનથી યુનાઇટેડ નેશન્સ ACABQમાં મિત્રાની પસંદગી કરવામાં આવી છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મિત્રા ACABQના કામકાજમાં સ્વતંત્ર, ઉદ્દેશ્યપૂર્ણ અને સંતુલિત પરિપ્રેક્ષ્ય લાવશે.
વિદિશા મિત્રાએ પસંદગી બદલ આભાર વ્યક્ત કર્યો
તિરુમૂર્તિએ આ મહત્વપૂર્ણ ચૂંટણીમાં ભારતને સમર્થન આપનારા તમામ સભ્યોનો આભાર માન્યો અને ભારતના ઉમેદવાર પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા.
તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના બજેટ પર દબાણ વધી રહ્યું છે ત્યારે ACABQમાં ભારતનું સભ્યપદ મહત્વપૂર્ણ છે.