નખત્રાણામાં લમ્પી રોગેનો ભોગ બનેલ મૃત ગૌ વંશને ટ્રેક્ટર પાછળ બાંધી ઢસડી નિકાલ કરાતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.
નખત્રાણામાં મૃત ગાય-નંદીને ટ્રેક્ટર પાછળ બાંધીને ઢસડી જાય છે.
ગાય માતાના મોતનો મલાજો ન જળવાતા લોકોમાં રોષ
મૃત ગૌ વંશની દુર્દશાના વિડીયો વાયરલ
રાજ્યના અનેક વિસ્તારોમાં પશુઓમાં લમ્પી રોગે કાળો કહેર વરસાવ્યો છે. જેને પગલે ગૌ વંશના ટપોટપ મોત થઈ રહ્યા છે. આવી કપરી સ્થિતિમાં નખત્રાણા નગરમાં દરરોજ બે થી ત્રણ ગૌ વંશ મરણને શરણ થઇ રહ્યા છે. જેને લઇને જીવદયા પ્રેમીઓમાં ચિંતાનો માહોલ છે આવી સ્થિતિમાં લમ્પી રોગનો ભોગ બનેલ મૃત ગાય માતાના મોતનો મલાજો ન જળવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નખત્રાણા ખુલ્લેઆમ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ગાયના મૃતદેહને ઢસડીને લઈ જતા દ્રશ્યોનો હચમચાવી નાખે તેવો વિડીયો વહેતા થતાં જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ છે.
મૃત પશુને ઢસડવાથી અન્ય પશુઓમાં વાયરસ ફેલાઈ તેવી દહેશત
નખત્રાણામાં હાલ ગૌ વંશમાં ફેલાયેલા લમ્પી રોગના કારણે શહેરના અનેક વિસ્તારમાં પશુઓ મોતને ભેટી રહ્યા છે. જેમાં પણ ઘરડી ગાયો જેને ઉપયોગ બાદ છોડી મુકવામાં આવી છે. જે સારવારના અભાવે મોતના ખપ્પરમાં હોમાઈ રહી છે. આથી ગામની બારોબાર બે કિલોમીટર દૂર મૃત પશુઓનો નિકાલ કરવામાં આવે છે. જે મૃત ગાયોના નિકાલ માટે કોન્ટ્રાક્ટ અપાયો છે. આ કોન્ટ્રાક્ટ કંપનીના કામદારો ગાયના મૃતદેહને હાઇડ્રોલિક ટ્રોલીમાં લઈ જવાને બાદ બદલે ટેક્ટરની ટોલીમાં ખુલ્લેઆમ પાછળ બાંધીને લઇ જવાતા હોવાથી લોકોની લાગણી દુભાઈ રહી છે અને જાહેર માર્ગ પર મૃત પશુને ઢસડવાથી અન્ય પશુઓમાં વાયરસ ફેલાઈ તેવી દહેશત પણ વર્તાઇ રહી છે.
હવેથી હાઇડ્રોલિક ટ્રોલી દ્વારા મૃત પશુઓનો નિકાલ કરાશે: પંચાયતની ખાતરી
હિન્દુ શાસ્ત્રમાં એક બાજુ ગાયને માતાની ઉપાધિ આપવામાં આવી છે તેવામાં તેના મોતનો મલાજો જળવાતો ન હોવાનું પંચાયતને ધ્યાને આવતા હવેથી હાઇડ્રોલિક ટ્રોલી દ્વારા મૃત પશુઓનો નિકાલ કરવામાં આવશે. તેવી ખાતરી અપવામાં આવી છે.