વરસાદી માહોલમાં કચ્છ જવાનો પ્લાન બનાવશો તો, કુદરત નહી કરે નિરાશ, પાલર ધુના ધોધના નયનરમ્ય દ્રશ્યો મન મોહી લે તેવા છે.
કચ્છમાં જામ્યો વરસાદી માહોલ
નખત્રાણામાં ધોધમાર વરસાદ થતા ધોધ થયા સક્રિય
પાલરધૂના ધોધ બન્યો જીવંત
આપણે જો કચ્છની વાત કરીએ તો નજર સામે શું આવે? સુકુ ભઠ્ઠ મેદાન, તરસે ટળવળતા પશુઓ અને પાણીની કિલ્લત. આ બધુ તો આપણે ઉનાળામાં ઘણુ જોયુ પરંતુ કહેવાય છેને કુદરત જ્યારે મહેર કરે એટલે કંઇ ન ઘટે હો.. ત્યારે કચ્છમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે. કચ્છની ધરતી પર ચોમાસુ આવતા જ જાણે કુદરત પણ ગેલમાં આવી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે જો કુદરતનો સાક્ષાત અનુભવ કરવો હોય તો પહોંચી જજો કચ્છના નખત્રાણામાં. આવો જાણીએ કચ્છમાં કુદરતે કેવી કરી છે કરામત.
કચ્છમાં ખીલી કુદરતની કળા
કચ્છના નખત્રાણામાં મેઘો ધોધમાર વરસ્યો. એક જ દિવસમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા આસપાસના ગામો પાણી પાણી થઇ ગયા. રહીશોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. તો બીજી તરફ ભારે વરસાદને કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ. કચ્છના નખત્રાણામાં મેઘરાજાએ મહેર કરતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદને કારણે કચ્છના નખત્રાણામાં ધોધ સક્રિય થઇ જતા ગામવાસીઓના ટોળા ઉમટ્યા.
પાલરધૂના ધોધ થયો જીવંત
આ વીડિયો જે જોઇ રહ્યા છો તે ધોધ છે નખત્રાણાના પાલર ધૂના ધોધ. છેલ્લા ઘણા દિવસોથી કચ્છ પર મેઘરાજાએ હેત વરસાવતા નખત્રાણોન પાલરધૂના ધોધમાં પાણીની આવક થતા મનોહર દ્રશ્યો સર્જાયા હતા. જેમ કોઇ ચિત્રકાર કુદરતી દ્રશ્યોનું પેઇન્ટિંગ કેવુ બનાવે તેવા દ્રશ્યો નખત્રાણામાં જોવા મળ્યા. કુદરતના આવા મનોહર રૂપનેજોઇને પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લાગણી ફરી વળી.
કેવી રીતે જશો પાલરધૂના ધોધ જોવા ?
જો તમે વરસાદી માહોલમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો કચ્છનો પાલરધૂના ધોધ અચૂક જોવા જેવો. કુદરતના સાંનિધ્યમાં અનેરી શાંતિ અને અપાર સૌંદર્યનો લ્હાવો આપતુ આ સ્થળ ખરેખર મન ખુશ કરી દેનારુ છે. ભુજ-નખત્રાણા હાઇવે પર પુંઅરેશ્વર મહાદેવ મંદિર છે તેની નજીક આ ધોધ આવેલો છે. ઉપરવાસમાં વરસાદ થતા આ ધોધ જીવંત બન્યો છે. જો કે આ વિસ્તાર શોધે જડ્યે તેવો છે કારણ કે ધોધ સુધી પહોંચના માટે કોઇ દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા નથી. આથી જો તમે પુંઅરેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી જાઓ પછી તો નજર સમક્ષ ધોધ આવ્યા વિના નહી રહે.