અમરેલીના બાબરામાં માતાજીના મંદિરમાં બલિ ચઢાવતો વીડિયો સામે આવતા શ્રદ્ધાળુઓમાં રોષ
અમરેલીમાં મંદિરમાં પશુની બલી ચડાવવામાં આવી
બાબરામાં આવેલા મેલડી માતાજીના મંદિરની ઘટના
ધાર્મિક લાગણી દુભાવનારા તત્વો સામે પોલીસ ફરિયાદ
અમરેલીના મંદિરમાં પશુની બલિ ચઢાવતા હોવાનો વીડિયો વાયરલ થતા પશુપ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. બાબરામાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં આ ઘટના બની હતી. ધાર્મિક લાગણી દુભાવનારા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
પશુ બલિની ઘટના સીસીટીવીમાં થઇ કેદ
અમરેલીના બાબરામાં નીલવડા રોડ પર વડલીવાળા મેલડી માતાજીનું મંદિર આવેલુ છે. તારીખ 22 એપ્રિલના રોજ રાત્રે 12 વાગ્યા પછી બાબરા ગામમાં રહેતા 5 જેટલા લોકોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. પશુની બલિ ચઢાવીને તેની હત્યા કરી. અન્ય લોકોએ પણ બલિ ચઢાવવામાં મદદ કરી હતી. મળતી માહિતી મુજબ બાબરા ગામે રહેતા લખમણભાઈ મગનભાઈ ડાભી, વિહાભાઈ નારણભાઈ ભરવાડ, નારણભાઈ પાંચાભાઈ ઝીંઝુવાડીયાએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા 10 શખ્સો સામે બાબરા પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
પ્રતિબંધ છતાં પશુ બલિ ચઢાવાતા રોષ
નવાઇની વાત તો એ છે કે મંદિરમાં બલિ ન ચઢાવવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમ છતાં શા માટે આ પ્રકારની હરકત કરવામાં આવી હતી જે તપાસનો વિષય છે. ઘટનાને પગલે પોલીસે આરોપીઓને શોધવા માટે તપાસ તેજ કરી છે પરંતુ માતાજીના મંદિરમાં આ પ્રકારની ઘટના બનતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઇ હતી.