વાસણામાં વરસાદના પાણી ઓસર્યાં બાદ દેવાસ એપાર્ટમેન્ટની દયનિય સ્થિતિ સામે આવી છે. જીવનભરની મહેનત જળપ્રલયમાં હોમાઈ જતા કરુણ રુદન સાથે લોકો આપવીતી જણાવી રહ્યા છે.
અમદાવાદમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો
ઘરની તમામ વસ્તુઓ સપનાની માફક પાણીમાં તણાઇ
તોફાની વરસાદ મહેનત અને મરણમૂડી તાણી ગયો હોવાથી લોકોના નથી સુકાતા આંસુ
અમદાવાદમાં ગત રવિવારે ખાબકેલા વરસાદે ખેદાન-મેદાન કરી નાખ્યું હતું. ભારે વરસાદ બાદ અનેક સોસાયટી, રોડમાં પાણી ભરાવા ઉપરાંત ઠેર-ઠેર ભુવા પડવા, રોડ બેસી જવા સહિત અનેક ઉપાધિ જન્મી છે. આ દરમિયાન પાણી ભરાતા અમદાવાદના વાસણાના દેવાસ એપાર્ટમેન્ટ સહિત અનેક વિસ્તારના લોકોની સ્થિતિ દયનીય બની છે. વરસાદી પાણી આ વિસ્તારના લોકોના ઘરમાં ઘૂસી જતાં લોકોની ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે. તોફાની વરસાદ ઘરની સામગ્રી સહિત બધુ તાણી જતા અનેક સ્થાનિકોમાં અશ્રુઓનો દરિયો ઊભરાયો છે. જીવ અને સામાન બચાવવા લોકો દિવસ રાત જગ્યા હોવા છતાં કહેવાતા પ્રજાના પ્રતિનિધિઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ડોકાયા ન હોવાથી લોકોમાં આક્રોશનો જ્વાળા પણ ભભૂક્યો છે. વરસાદે વિનાશ વેરતા લોકો ભારે હૈયે પોતાની આપવીતી વર્ણાવી રહ્યા છે.
મોતને સાક્ષાત નજર સામે ઝળુંબતું જોયું : સ્થાનીક વૃદ્ધ
અમદાવાદમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વાસણામાં પાણી ઓસર્યા બાદ હજુ પણ ઠેર-ઠેર અધોગતિનો અંત આવ્યો નથી. વાસણામાં આવેલા દેવાસ એપાર્ટમેન્ટ વરસાદી પાણી ઘૂસ્યા હતા. આ દરમિયાન લોકોએ દિવસ-રાત એક કરીને મહેનતની કમાણીથી વસાવેલી ઘરવખરી અને અનાજ સહિતની વસ્તુ વરસાદ વેરી બનીને એક જ ઝાટકે તાણી ગયો હતો. વરસાદી સ્થિતિ વર્ણાવતા સ્થાનીક વૃદ્ધ ચોધાર આસુંએ રડી પડ્યા હતા. 45 વર્ષ જિંદગીભર મહેનત કરીને પાઇ-પાઇ બચાવેલી મરણમૂડી પણ વરસાદ તાણી જતા લોકોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. સ્થાનીક વૃદ્ધે જણાવ્યુ કે, બે દિવસ સુધી ખાવાની વાત તો દૂર રહી મોત સાક્ષાત નજર સામે ઝળુંબી રહ્યું હોય તેવું લાગતું હતું. આવી ઉપાધિની વેળાએ પણ નિરીક્ષણના બહાને આવેલા કલેકટર રોડ પરથી જતા રહ્યા હોવાનું જાણાવી VTV ન્યૂઝના કેમેરા સામે સ્થાનિક વૃદ્ધની આંખોમાંથી શ્રાવણ અને ભાદરવો દળદળ વર્ષી પડ્યા હતા.
સઘળું લૂંટાઈ જતાં લોકોના માંથે ઘેરાયા ઉપાધિના વાદળો
વરસાદી આફત વચ્ચે જીવ બચાવવા લોકોની ઊંઘ હરામ થઇ ગઈ હતી. લાખ કોશિશ કરવા છતાં પણ રહીશોના ઘરની તમામ વસ્તુઓ બરબાદ થઇ ગઈ હતી. તોફાની વરસાદે તહેસ-નહેસ કરી નાખતા સઘળું લૂંટાઈ ગયા બાદ લોકોના માંથે ઉપાધિના વાદળો ઘેરાયા છે. વરસાદી પાણી ઓસર્યા છે પણ મહેનતથી ખરીદેલી વસ્તુઓ તણાઇ જતા સ્થાનિકોની આંખમાંથી હજુ આંસુ સુકાયા નથી. સંકટવેળાએ પણ કોઇ પૂછવાવાળુ ન હોવાની લોકો ભારે હૈય વરાળ ઠાલવી રહ્યા છે.