પુલવામાં આતંકી હુમલાની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાને પોતાનો પક્ષ ઊંચો રાખવા માટે ભારતીય સરહદ પર વિમાની હુમલો પણ કરી લીધો છે. આવા પ્રહાર સામે પ્રહારના માહોલમાં રાજ્યની પાકિસ્તાનને સ્પર્શતી કચ્છ સરહદ પર લશ્કરી હિલચાલ વધારી દેવામાં આવી છે અને નાગરિકોમાં ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સરહદ પર કેવી છે પ્રહરીઓના પ્રહારની તૈયારીઓ જોઈએ આ અહેવાલ.
ભારત પાકિસ્તાન વચ્ચે હાલ ભારે તંગદિલી પ્રવર્તી રહી છે. બન્ને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી દહેશત હરેક નાગરિકને સતાવી રહી છે. આ ગરમાગરમીના અને પ્રહાર પર પ્રહારના માહોલમાં આપણા રાજ્યના પાકિસ્તાન બોર્ડરને સ્પર્શતા કચ્છ જિલ્લામાં મોનિટરિંગ અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. કચ્છમાં આર્મી અને એરફોર્સ એક્શન મોડમાં છે. સાથે હવાઇ વિસ્તારમાં નજર રાખવા માટે એર સર્વેલન્સ ટાવર પણ ઉભા કરી દેવાયા છે.
સરહદ પર ભારે હથિયારો સાથે ગોઠવાવાનું શરૂ થઈ ગયું છે. લખપતમાં રડાર અને કાળા ડુંગર પર વોચટાવર એક્ટીવ કરી દેવાયા છે. કચ્છના કાળા ડુંગર પરથી સફેદ રણ સહિતના વિસ્તારોનું બીએસએફ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તો આ તરફ ખાવડા, હરામીનાળા, સિરક્રીક, કોરીક્રીક, લખપત વગેરે સરહદી વિસ્તારોની સુરક્ષા મોટ પેટ્રોલિંગમાં વધારો કરી દેવાયો છે. સરહદે ઉચ્ચ અધિકારીઓએ ધામા નાખી દીધા છે.
ઈન્ડિયા બ્રીજ પરથી સામાન્ય લોકોની અવરજવર કરાઇ બંધ
ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી બંને દેશોની વચ્ચે ભારતીય સેના સતર્ક થઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને કચ્છ સરહદે પણ આર્મીની ગતિવિધીઓ તેજ થઈ છે. અહીં ઈન્ડિયા બ્રીજ પરથી સામાન્ય લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે. સાથે જ બ્રીજ પર આર્મી ચેક પોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે. કેમ કે, ઈન્ડિયા બ્રીજ આર્મીને બોર્ડર પર જવા માટે મહત્વનો બ્રીજ છે. આ બ્રીજ પરથી બોર્ડર પર માલ-સામાન પહોંચાડવામાં આવે છે. ત્યારે હવે ઈન્ડિયા બ્રીજ પરથી સામાન્ય લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે.
ગ્રામજનો સેનાને મદદ કરવાનું અને સાથે જ રહેવાનો જુસ્સો ધરાવી
બન્ને દેશો વચ્ચે તણાવના માહોલમાં અને કચ્ચ સરહદે ભારતીય સેનાની તૈયારીના માહોલમાં વીટીવીની ટીમે બોર્ડર પર આવેલા કુરન ગામ મુલાકાત લીધી હતી. આ ગામ બોર્ડરથી માત્ર 30 કિલોમીટર દૂર છે. કુરન ગામના લોકો બોર્ડર પર પ્રહરીની ભૂમિકા નિભાવી રહ્યા છે. જોકે ગ્રામજનોમાં થોડો ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તણાવગ્રસ્ત સ્થિતિ અંગે કુરન ગ્રામજનોએ વીટીવી સાથે વાત કરી હતી. ગ્રામજનોએ વીટીવી સાથે વાત કરતા જણાવ્યુ છે કે, પાકિસ્તાનના વિમાનોના અવાજ અવારનવાર સંભળાઈ રહ્યા છે. જોકે જો યુદ્વ છેડાઈ જાય તો તેવી સ્થિતિમાં ગ્રામજનો સેનાને હર સંભવ મદદ કરવાનું અને સાથે જ રહેવાનો જુસ્સો ધરાવી રહ્યા છે.
હાલ તો બન્ને દેશો વચ્ચે ગમે તે ઘડીએ યુદ્ધ ભડકી ઉઠે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, પરંતુ ઈતિહાસ પર નજર કરીશું તો એવું પણ બન્યું છે કે, યુદ્ધની અણી પર પહોંચેલા બે રાષ્ટ્રો છેલ્લી ક્ષણે યુદ્ધ ટાળવા પણ સહમત થઈ ગયા હોય. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ આ શક્યતા નકારી શકાતી નથી. આશા રાખીએ શક્યતા હકીકતમાં બદલાઈ જાય.