દેડિયાપાડા બેઠક પર આપના ચૈતર વસાવાની જીત; અહીં ચતુષ્કોણીય જંગ જામ્યો હતો જેમાં હિતેશ વસાવા, જેરમાબેન વસાવા, ચૈતર વસાવા, બહાદુર સિંહ વસાવા (BTP) રાજકીય મેદાનમાં ઉતર્યા
દેડિયાપાડા બેઠક પર આપના ચૈતર વસાવાની જીત
દેડિયાપાડામાં ચતુષ્કોણીય જંગ જામ્યો હતો
દેડિયાપાડામાં ભાજપ, કોંગ્રેસ અને BTPની થઈ હાર
દેડિયાપાડા(ST) બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાની જીત થઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડેડિયાપાડ બેઠક પર આ વખતે ચતુષ્કોણીય જંગ જામ્યો હતો. આ બેઠક પર ભાજપે હિતેશ વસાવા પર વિશ્વાસ મૂક્યો હતો. જ્યારે કોંગ્રેસે જેરમાબેન વસાવાને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને અને BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ બહાદુરસિંહ વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તમામ ઉમેદવારોએ મતદારોને આકર્ષવા માટે દિવસરાત એક કરીને તનતોડ મહેનત કરી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા ચરણમાં 78.18 ટકા મતદાન સાથે નર્મદા જિલ્લો અગ્રેસર રહ્યો હતો. નર્મદા જિલ્લાની દેડિયાપાડા બેઠક પર 82.29 ટકા મતદાન નોંધાયું હતું.
82.29 ટકા મતદાન નોંધાયું
દેડિયાપાડા આદિવાસી વિસ્તાર છે. આ આદિવાસી વિસ્તારમાંથી વિધાનસભા, લોકસભા કે પછી ગ્રામપંચાયતની ચૂંટણી હોય ગુજરાતમાં સૌથી વધુ મતદાન આ વિસ્તારમાંથી થતું હોય છે. આ વખતે પણ આ બેઠક પર 82.29 ટકા મતદાન નોંધાયું છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી દેડિયાપાડા વિધાનસભા બેઠક 149મા ક્રમાંકે છે. દેડિયાપાડા વિધાનસભા બેઠક ભરૂચ લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે.
વર્ષ 2017માં મહેશ વસાવા જીત્યા હતા
દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેથી તમામ રાજકીય પક્ષોએ આદિવાસી મતદારોને આકર્ષવા માટે આ વિસ્તારોમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. દેડિયાપાડાની ગત ચૂંટણી વિશે વાત કરીએ તો 2017માં અહીં ભાજપ કે કોંગ્રેસની BTPના ઉમેદવાર જીત્યા હતા. બીટીપીના મહેશ વસાવા ગત ટર્મમાં જીત્યા હતા. મહેશભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના મોતીલાલ વસાવાને 21,751 મતોથી મ્હાત આપી હતી. 2012માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોતીલાલ વસાવા જીત્યા હતા.