રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ વખતે હત્યા કોઈ નિર્દોષની નહીં પણ દુષ્કર્મના આરોપીની હત્યા થઈ છે. 4 દિવસ પૂર્વે જ ફરિયાદી પીડિતાના પિતાએ આરોપીને માર માર્યો હતો. જે બાદ આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન આરોપીનું મોત નિપજતાં સમગ્ર બનાવ હત્યામાં પરિણમ્યો છે.
સમગ્ર ઘટના વિશે જણાવીએ તો, કોઠારીયા રણુજા મંદિર પાસે જયનગરમાં રહેતાં દિવ્યેશ તુલસીભાઇ ગોંડલીયા (ઉ.20) નામના બાવાજી યુવાનને નજીકના વિસ્તારમાં રહેતી 14 વર્ષની બાળા સાથે ફેસબૂક થકી ઓળખાણ થયા બાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો. તે શનિવારે આ બાળાને બાઇકમાં બેસાડી ચોટીલા દર્શન કરવા લઇ ગયો હતો.
આ અંગે બાળાના પરિવારજનોને ખબર પડી જતાં સાંજે બાળાના પિતાએ તેને પોતાના કારખાને વાતચીત કરવા બોલાવ્યા બાદ બીજા ચાર જણા સાથે મળી ધોકા અને પ્લાસ્ટીકના પાઇપથી બેફામ માર મારતાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે આરોપીઓ વિરૂદ્ધસ ગુનો દાખલ ન કરતા પરિવારજનો અને મહિલા કોર્પોરેટર સહિતના પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને પોલીસને અભદ્ર ભાષા બોલી હંગામો મચાવ્યો હતો. જેથી પોલીસે 37 જણ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.