UPના એડિશનલ DG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું હતું કે હાથરસ ગેંગરેપમાં પીડિતાના શબના અંતિમ સંસ્કાર પોલીસે જબરજસ્તી કર્યા નથી.
આજ તક સાથે ખાસ વાતચીતમાં પ્રશાંત કુમારે કહ્યું કે પરિવારના સભ્યોની સંમતિ પછી જ મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે વિલંબને કારણે શબ ખરાબ થઇ ગયું હતું. અંતિમવિધિમાં પીડિતાના પરિવારજનો પણ હાજર હતા.
ADG પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રે પીડિતાના અંતિમ સંસ્કાર વિશે ટ્વિટ કર્યું હતું. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે તેના અંતિમ સંસ્કાર પરિવારના સભ્યોની હાજરી અને સંમતિથી કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, 29 સપ્ટેમ્બરની સવારે પીડિતાનું મોત નીપજ્યું હતું અને પોસ્ટમોર્ટમ કર્યા પછી પીડિતાનું શબ બગડી રહ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રે પરિવારની સંમતિથી પીડિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
જબરજસ્તી અંતિમ સંસ્કાર નથી કરવામાં આવ્યા
એડીજી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, જો મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું છે, તો આ મામલાની તપાસ માટે રચાયેલી SIT ટીમ પીડિત પરિવારના નિવેદન લેશે અને તપાસ કરશે.
તેમણે કહ્યું કે, કદાચ પરિવારની મહિલાઓને રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં કોઈ વાંધો હતો, પરંતુ મૃતદેહ બગડી રહ્યો હતો.
શું પીડિતાની જીભ કાપી નાખવામાં આવી હતી?
આ સવાલ ઉપર ADG પ્રશાંત કુમારે કહ્યું કે પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈએ રહી છે. રિપોર્ટ બાદ તેને મીડિયા સાથે શેર કરવામાં આવશે.
જો કે, તેમણે કહ્યું કે જ્યારે પીડિતા સફદરજંગ હોસ્પિટલ ખસેડવામાં આવી રહી હતી, તે સમયે મેડિકલ રિપોર્ટમાં આવી કોઈ માહિતી નહોતી.