આજે ગાંધીનગર ખાતે વાયબ્રંટ સમિટ 2019ની શરૂઆત થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રંટ સમિટની શરૂઆત કરીને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓને સંબોધન કર્યુ હતું. સમિટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યાં હતાં. ખાસ કરીને ગાંધીનગર વાયબ્રંટ સમિટમાં ઉપસ્થિત રહેલા નીતિન પટેલે વાયબ્રંટ ગુજરાત સમિટને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. ચર્ચા એવી ચાલી રહી છે કે આ સમિટ લોકસભા ચૂંટણીલક્ષી છે. આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા નીતિન પટેલે કહ્યું હતું કે વાયબ્રંટ સમિટ અને ચૂંટણીને કોઈ લેવા-દેવાં નથી. લોકસભાની ચૂંટણી અંગે નિવેદન આપતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ચૂંટણી નિર્ધારિત સમયે જ થતી હોય છે. જેમ વિધાનસભાની ચૂંટણી તેના નિર્ધારિત સમયે થતી હોય છે તેમ લોકસભા ચૂંટણી પણ તેના સમયે જ થશે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં 18થી 20 જાન્યુઆરી સુધી વાયબ્રંટ સમિટનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે પીએમ મોદીની ઉપસ્થિતિમાં વાયબ્રંટ સમિટનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિઓ આવ્યાં છે. વાયબ્રંટ સમિટમાં દેશના મોટા ઉદ્યોગપતિઓ ભાગ લેવા માટે પહોંચ્યા હતાં. સમિટમાં ભાગ લેવા માટે મુકેશ અંબાણી ગૌતમ અદાણી કુંમાર મંગલમ બિરલા પંકજ પટેલ તુલસી તંતી સુધીર મેહતા કરસન પટેલ આવ્યાં હતાં. સાથે જ મોટી સંખ્યામાં વિદેશી ડેલિગેશન પણ ભાગ લેવા માટે પહોંચ્યા હતાં.
વિદેશી ઉદ્યોગપતિઓને મુખ્ય હોલમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વાયબ્રંટ ગુજરાત સમિટમાં કરોડો રૂપિયાના એમઓયુ કરાશે. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનના પ્રમુખ સાવકાત મિઝીયોયેવ આફ્રિકન યુનિયનના ચેરપર્સન અને રવાન્ડાના પ્રમુખ પૌલ કાગામે ચેક પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી અન્દ્રેજ બાબિસ ડેન્માર્કના પ્રધાનમંત્રી લાર્સ લોકકે રાસમુસ્સમ અને માલ્ટા પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી ડો.જોસેફ મુસ્કાત ખાસ હાજર રહ્યા હતા.
સમિટના પ્રથમ કલાકમાં જ રાજ્યમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત કરાઇ હતી. ૧૧પ દેશના પ્રતિનિધિ આ સમિટમાં જોડાયા છે. જ્યારે ૧પ દેશ પાર્ટનર તરીકે જોડાયા છે.