ગાંધીનગરમાં 18થી 20 જાન્યુઆરી સુધી વાયબ્રંટ સમિટનુ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે પીએમ મોદીની ઉપસ્થિતિમાં વાયબ્રંટ સમિટનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિઓ આવ્યાં છે. વાયબ્રંટ સમિટમાં દેશના મોટા ઉદ્યોગપતિઓ ભાગ લેવા માટે પહોંચ્યા હતાં. સમિટમાં ભાગ લેવા માટે મુકેશ અંબાણી ગૌતમ અદાણી કુંમાર મંગલમ બિરલા પંકજ પટેલ તુલસી તંતી સુધીર મેહતા કરસન પટેલ આવ્યાં હતાં. સાથે જ મોટી સંખ્યામાં વિદેશી ડેલિગેશન પણ ભાગ લેવા માટે પહોંચ્યા હતાં. વિદેશી ઉદ્યોગપતિઓને મુખ્ય હોલમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વાયબ્રંટ ગુજરાત સમિટમાં કરોડો રૂપિયાના એમઓયુ કરાશે. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનના પ્રમુખ સાવકાત મિઝીયોયેવ આફ્રિકન યુનિયનના ચેરપર્સન અને રવાન્ડાના પ્રમુખ પૌલ કાગામે ચેક પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી અન્દ્રેજ બાબિસ ડેન્માર્કના પ્રધાનમંત્રી લાર્સ લોકકે રાસમુસ્સમ અને માલ્ટા પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી ડો.જોસેફ મુસ્કાત ખાસ હાજર રહ્યા હતા.
સમિટના પ્રથમ કલાકમાં જ રાજ્યમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત કરાઇ હતી. ૧૧પ દેશના પ્રતિનિધિ આ સમિટમાં જોડાયા છે. જ્યારે ૧પ દેશ પાર્ટનર તરીકે જોડાયા છે.
પ્રધાનમંત્રી મોદી હજુ આવતી કાલ બપોરે સુધી ગુજરાતમાં રોકાવાના હોઇ તેમનું પ્રધાનમંત્રી કાર્યાલયના ટોચના અધિકારીઓ સહિતનું કાર્યાલય અહીં ઊભુ કરાયું છે. ગુજરાતમાં અને દેશમાં વિદેશી રોકાણ મોટા પ્રમાણમાં થાય તે માટે તેઓ આજે સાંજે સોવેરિન ફંડ પેન્શનફંડ તેમજ ટોચની નાણાં સંસ્થાઓના વડાઓ સાથે સાંજે ગાલા ડિનર સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજશે. દરમ્યાન તેઓ દાંડિકુટર ખાતે થ્રીડી પ્રોજેકશન લેસર લાઇટ શોનું પણ ઉદ્ઘાટત કરશે. આજે પણ તેઓ રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે.
વાયબ્રંટ સમિટના ઉદ્દઘાટન સમારોહમાં સ્વાગત પ્રવચન કરતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વાયબ્રંટ ર૦૧૯ને સારો પ્રતિસાદ મળ્યો છે. સમિટ એ પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે. આ સમિટને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
વાયબ્રંટ સમિટ ગુજરાતની થીમ ન્યૂ ઇન્ડિયા પર રચાઇ છે. ગુજરાતથી જ નવા ભારતનું નિર્માણ થશે ગુજરાત આજે યજમાન નથી પરંતુ હાજર તમામ દેશના પ્રતિનિધિઓનું પાર્ટનર છે. તેમના વકતવ્યના અંતમાં તેમણે મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો પાંચ દેશના વડા તેમજ ટોચના તમામ ઉદ્યોગપતિઓ અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
મુકેશ અંબાણી - રિલાયન્સ
રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ભારતમાં ‘ગુજરાત ફર્સ્ટ’એ અમારું લક્ષ્ય છે. ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. રિલાયન્સ ગુજરાતમાં દસ લાખ લોકોને રોજગારી આપે છે. રિલાયન્સે ગુજરાતમાં ત્રણ લાખ કરોડનું રોકાણ કર્યું છે.
ગૌતમ અદાણી - અદાણી ગ્રુપ
વાયબ્રંટ સમિટ 2019માં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ગૌતમ અદાણીએ નિવેદન આપ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રંટ ગુજરાતના આર્કિટેક્ટ છે. આગામી દિવસોમાં 1 ગીગા બાઈટ ડેટા સેન્ટર બનાવાશે. ભારત રોકાણ માટે સર્વશ્રેષ્ઠ દેશ છે. ભારત વિશ્વ અર્થવ્યવસ્થામાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. વાયબ્રંટના કારણે ઘણું રોકાણ ગુજરાતમાં નહીં દેશભરમાં આવ્યું. ત્યાર બાદ તેમણે રોકાણ કરવા માટે જણાવતા કહ્યુ કે અદાણી ગ્રુપ આવતા પાંચ વર્ષમા 55 હજાર કરોડનું રોકાણ કરશે.
એન. ચંદ્રશેખર - ટાટા ગ્રુપ
ટાટા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાંથી ટાટાનો ઉદય થયો છે. જમશેદજી ૧૮૩૯માં અહીં જન્મ્યા હતા ત્યારથી અમે અહીં છીએ. ગુજરાત ટાટા જૂથનું ત્રીજું સૌથી વધુ રોકાણ ધરાવતું રાજ્ય છે. જ્યાં રપ૦૦૦થી વધુ લોકો કામ કરે છે.
કુમાર મંગલમ્ - આદિત્ય બિરલા
આદિત્ય બિરલા ગ્રૂપના કુમારમંગલમ્ બિરલાએ જણાવ્યું હતું કે ગુજરાત એ ભારતનું સૌથી લોકપ્રિય વાયબ્રંટ પિકચર છે. અલ્ટ્રાટ્રેક કંપની સ્ટેચ્યુ ઓય યુનિટીના નિર્માણમાં ભાગ લીધો છે. પ્રધાનમંત્રીની આગેવાનીમાં ભારત સુપર પાવર બને. ગુજરાતમાં ર૬ ૦૦૦ લોકો અમારી કંપનીમાં કામ કરી રહ્યા છે. ઘોલેરા ફોરલેન પ્રોજેકટ મેટ્રો રેલમાં પણ અમારી પ્રોડકટ ઉપયોગમાં લેવાઇ રહી છે. ૩૦૦૦ કરોડનું રોકાણ અમે ગુજરાતમાં કર્યું છે. હવે હજુ વધુ ૧પ હજાર કરોડનું રોકાણ કરીશું.
સુધીર મહેતા- ટૉરેન્ટ
ટોરેન્ટ પાવરના સુધીર મહેતાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પાવર સેકટરમાં વધુ ૧૦ હજાર કરોડનું રોકાણ કરશે. અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીએ કચ્છમાં સૌથી મોટા સોલર પાવર પ્રોજેકટ સહિત પપ હજાર કરોડના રોકાણની જાહેરાત કરી હતી.
મહાત્મા મંદિર ખાતે યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૯માં ભાગ લેવા દેશ વિદેશના મહેમાનો ગાંધીનગર ખાતે છે ત્યારે આજે સવારથી જ ખાનગી ટેક્સીઓના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે અમદાવાદ ગાંધીનગર વચ્ચે દોડતી ટેક્સીનો ભાવ ૪૦૦થી રૂ.૪પ૦ રહેતો હોય છે તે આજે રૂ.૧૦૦૦થી ૧ર૦૦ પહોંચ્યો છે.
એટલું જ નહીં સવારે એસજીહાઇવેથી ગાંધીનગર માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો અને સમિટ સુધી પહોંચવા માટે અનેક લોકો મોડા પડ્યા હતા. ટેક્સીના રૂપિયા ચુકવવાની તૈયારી છતાં મોટાભાગની ટેક્સીની રિકવેસ્ટ રિજેક્ટ થતી હોવાનું જણાયુ હતું.