કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે EVM નો બચાવ કરતા કહ્યું કે, ચૂંટણીનું પરિણામ ગમે તે હોય, પરંતુ હવે EVM પર દોષારોપણ કરવાનું બંધ કરવું જોઈએ. આ અગાઉ કોંગ્રેસના નેતા ઉદિત રાજે EVM અંગે સવાલો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમનું નિવેદન
તાજેતરની ચૂંટણીઓને લઈને આપ્યું નિવેદન
EVM એ ક્ષતિ રહિત અને વિશ્વસનીય ગણાવ્યા
બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો વચ્ચે ફરી એકવાર EVM અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસ ના નેતા ઉદિત રાજે ચૂંટણી પરિણામોના ટ્રેન્ડસમાં મહાગઠબંધનને સરસાઈ ન મળતા EVM ર પ્રશ્નો ઉઠાવ્યા હતા., જો કે કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમે EVM નો બચાવ કર્યો હતો. આ બધાની વચ્ચે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રાગિની નાયકે ઉદિત રાજના નિવેદનથી પાર્ટી લાઈનને અલગ કરી હતી.
શું કહ્યું કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે ?
કાર્તિએ EVM નો બચાવ કરતાં ટ્વિટ કર્યું, ચૂંટણીનું પરિણામ ગમે તે હોય, પરંતુ હવે EVM પર દોષારોપણ કરવાનું બંધ કરવું જોઈએ. મારા મતે EVM સિસ્ટમ મજબૂત, સચોટ અને વિશ્વસનીય છે.
આ અગાઉ કોંગ્રેસના નેતા ઉદિત આજે EVM માં છેડછાડ થવાની આશંકા વ્યકત કરી હતી, આ માટે તેમણે અમેરિકન ચૂંટણીની પ્રક્રિયાનો પણ સંદર્ભ આપ્યો હતો. જો કે, કોંગ્રેસના પ્રવક્તા રાગિની નાયકે કહ્યું કે અમે EVM પર સવાલ ઉઠાવ્યો નથી અને કોઈની અંગત ટિપ્પણીને અવગણવી જોઈએ. તેમણે કહ્યું કે અમે ચૂંટણી જીતીશું અને EVM પર કોઈ સવાલ ઉભા કરી રહ્યા નથી.
રાહુલ ગાંધીએ પણ ઉઠાવ્યા હતા સવાલો
મહત્વનું છે કે બિહારની ચૂંટણીમાં જાહેર સભા દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ EVM પર સવાલો ઉભા કર્યા છે. તેમણે EVM ને MVM એટલે કે મોદી વોટિંગ મશીન ગણાવ્યું હતું.
નોંધનીય છે કે બિહારની 243 વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીઓનાં પરિણામો આવી રહ્યા છે. હાલના ટ્રેન્ડસ અનુસાર બિહારમાં ફરીથી NDA સરકાર રચાઇ રહી છે. NDA હાલમાં લગભગ 130 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે અને તેજસ્વી યાદવ ના નેતૃત્વ હેઠળનું મહાગઠબંધન 100 બેઠકો પર લીડ કરી રહ્યું છે, જ્યારે 10 બેઠકો અન્યના ખાતામાં આવી રહી છે.
પેટાચૂંટણીના ટ્રેન્ડસથી ભાજપને રાહત
ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં પણ ભાજપે 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં ક્લીન સ્વીપ કરી છે તેવું દ્રશ્ય ઉભું થયું છે, મધ્ય પ્રદેશમાં 28 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ 20 જેટલી બેઠકો પર આગળ છે આમ આ પેટાચૂંટણીના પરિણામોથી હાલ પૂરતી તો ભાજપને રાહત થઈ જણાઈ રહી છે.