ભારતીય જનતા પાર્ટી છેલ્લા 6 ટર્મથી ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપે તેવા પૂરેપૂરા એંધાણ છે. એવામાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હુંકાર કર્યો છે. તેમણે કહ્યું કે, વાઘોડિયા બેઠક પરથી હું જ ચૂંટણી લડીશ અને 50 હજાર મતોથી જીતીશ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. હંમેશા ચર્ચામાં રહેતી વડોદરાની વાઘોડિયા બેઠક ફરી ચર્ચામાં આવી છે. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાવાના પૂરેપૂરા એંધાણ છે. ભાજપ વાઘોડિયામાં મહિલા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. તેવામાં ર વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હુંકાર કર્યો છે. તેઓએ જણાવ્યું કે, વાઘોડિયા બેઠક પરથી હું જ ચૂંટણી લડીશ. પત્નીને લડાવવાની વાત મજાક હતી. પત્ની બાજુમાં ઉભી હતી એટલે મેં મશ્કરી કરી હતી. આ બેઠક પરથી મારી પત્ની નહીં હું ચૂટણી લડીશ.
પત્નીને લડાવવાની વાત મજાક હતીઃ મધુ શ્રીવાસ્તવ
દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, હું અને મારી પત્ની ઉભા હતા, ત્યારે મેં મશ્કરીમાં કહ્યું હતું કે વાઘોડિયાથી મારી પત્ની ચૂંટણી લડશે. પરંતુ સાચી હકીકત એ છે કે પત્નીને ચૂંટણી લડાવવાની વાત માત્ર મશ્કરી હતી. આ બેઠક પરથી હું ચૂંટણી લડીશ.
ભારતીય જનતા પાર્ટી સારા વોટથી જીતશે.
તેમણે જણાવ્યું કે, વાઘોડિયા બેઠક ભારતીય જનતા પાર્ટીની છે. આ બેઠક પરથી આ વખતે પણ ભાજપ સારા વોટથી જીતશે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે આ વખતે પણ પાર્ટી મારા પર વિશ્વાસ મુકશે અને મને ટિકિટ આપશે. જો પાર્ટી મને ટિકિટ આપશે તો હું 50 હજાર વોટથી જીતીશ.
મધુ શ્રીવાસ્તવે કરી સ્પષ્ટતા
મહત્વનું છે કે, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અગાઉ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'હું નહીં તો મારી પત્નીને ચૂંટણી લડાવીશ.', જોકે, મધુ શ્રીવાસ્તવે હવે પત્નીને ચૂંટણી લડાવવાની વાત માત્ર મશ્કરી હોવાનું કહ્યું છે.
છેલ્લા 6 ટર્મથી આ બેઠક પર શ્રીવાસ્તવનો દબદબો
વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી બાહુબલી નેતાની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે. આ વખતે વડોદરાની વાઘોડિયા બેઠક પર ઉમેદવારને લઈને કોકડુ ગુંચવાયું છે. કારણ કે સંગઠનમાં નો-રિપીટનો સૂર ઉઠ્યો છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટક્કર આપે તેવા ચહેરાની શોધમાં છે. આપને જણાવી દઈએ કે, ગત 2017ની ચૂંટણીમાં આ બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને 63,049 મત મળ્યા હતા
ગુપ્ત બેઠકમાં મધુ શ્રીવાસ્તવને રખાયા હતા દૂર
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા વડોદરાની ટુંકી મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન વાઘોડિયા બેઠકના ભાજપના કેટલાક દાવેદારો સાથે તેમણે ગુપ્ત બેઠક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા નજીક આવેલ પદમલા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં બેઠક યોજાઇ હતી. ગુપ્ત બેઠક કરી વાઘોડિયા બેઠક અંગે ફરી સેન્સ મેળવ્યાની પણ ચર્ચા જાગી હતી. જેમાં વિગત મુજબ આ મિટિંગમાં વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પણ દૂર રખાયા હતા. બેઠકની મધુ શ્રીવાસ્તવને જાણ ન કરતા આગામી ચૂંટણીમાં ટિકિટને લઇને મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાય શકે તેવી ચર્ચા જાગી હતી.
મતદારોની સંખ્યા
2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, આ વિસ્તારમાં કુલ 3,57,883 વસ્તી છે. જેમાંથી 55.27 ટકા વસ્તી ગ્રામીણ છે અને 44.73 ટકા શહેરમાં વસવાટ કરે છે. કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર અનુક્રમે 5.86 અને 14.96 છે.