છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ગીરસોમનાથ ઉના પોરબંદર જામનગર ભાવનદરમાં વરસાદે તારાજી સર્જી છે. જેથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
ગીર-સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે સર્વત્ર જળબંબાકાર થઈ ગયું છે. મારડિયા પાસે હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પ્રાચી ગામ પાસે હાઈવે પરથી પાણી વહી રહ્યા છે. રોડ પર એક કિલોમીટર સુધી પાણી ભરાઈ ગયા છે. વેરાવળથી કોડીનાર હાઈવે પર પાણી ભરાઈ ગયા છે...
આ ઉપરાંત ગીર ગઢડામાં આવેલા દોણેશ્વર ડેમે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો છે. ડેમની ઉપર થઈને પાણી વહી રહ્યું છે. ડેમનું પાણી હાલ નદીમાં વેગથી વહી રહ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. અનેક ગામમાં નદીના પાણી ઘુસી ગયા છે. અનેક ગામ પર ભય વર્તાઈ રહ્યો છે.
બીજી બાજુ ભારે વરસાદના કારણે ઉનામાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉના તાલુકાનું લેરકા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ઉના તાલુકાના લેરકા ગામમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે. તો રહેણાંક મકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.બે દિવસથી લેરકા ગામના લોકો ફુડ પેકેટ પર નભી રહ્યા છે.
ગામમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. ભારે વરસાદના કારણે હીરા તળાવ છલકાયુ છે. જિલ્લાની નદીનુ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને પણ નુકસાન થયુ છે. રોડ રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. પાણી ભરાતા વાહન વ્યવહાર પર પણ અસર થઈ છે..
ઉનાના વેરાવળ રોડ પર આવેલા સિલોજ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યું છે. જેના કારણે ગામના રોડ ઉપરથી પાણી વહી રહ્યા છે. ભારે વરસાદના પગલે ઉનાથી ચાચકવડ રોડ ધોવાયો છે અને તેના કારણે રસ્તો બંધ કરાયો છે.
ઓજત નદીના પાણી ઉતર્યા નથી ત્યાં. પોરબંદરના માણાવદરમાં ફરી ભારે વરસાદની શરૂઆત થઇ છે. મટીયાણા ગામમાં ધોધમાર વરસાદ પડતા મુસીબત ઉભી થઈ છે. આશરે 12 ઇંચ વરસાદ ખાબકતા મટીયાણા ગામનું તળાવ ઓવરફલો થયું હતું. જુ પણ અવિરત વરસાદ ચાલુ છે. હવે જો વરસાદ પડશે તો પરિસ્થિતિ વધુ બગડશે તેવી શકયતા છે.