નવી દિલ્હીઃ શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે સંસદ ભંગ કરવાના રાષ્ટ્રપતિ મૈલીપાત્રા સિરીસેનાના નિર્ણયને બદલ્યો છે. એટલુ જ નહીં શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે સિરીસે તરફથી ચૂંટણીની તૈયારીઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સિરીસેનાએ 26 ઓક્ટોબરે પ્રધાનમંત્રી રાનિક વિક્રમસિંઘેને પદ પરથી હટાવી દીધા હતાં. તેમના સ્થાને પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને પ્રધાનમંત્રી તરીકે નીમી દીધા હતાં.
આ નાટકીય ઘટનાક્રમ બાદ સિરીસેનાએ સંસદ ભંગ કરતા નવેસરથી ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. જોકે સિરીસેનાના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટે ફેરવી તોળ્યો છે. જેને લઈને ભારતના પાડોશી દ્વીપ દેશમાં રાજકીય સંકટ વધ્યું છે.
ચીફ જસ્ટિસ નલિન પરેરાની અધ્યક્ષતા હેઠળની ત્રણ જજોની બેચે નિર્ણય સંભળાવ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટમાં મોટા પાયે સુરક્ષાદળો તૈનાત કરાયા હતા. જજોએ કમાંડોની ઘેરાબંધી વચ્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.
વિક્રમસિંઘેએ લખ્યું હતું કે જનતાને પહેલી જીત મળી છે. હજી વધારે આગળ વધવાનું છે અને આપણા દેશમાં લોકોને ફરી એકવાર સંપ્રભુતા સ્થાપિત કરવી પડશે.