સમગ્ર વિશ્વને ભરખી જવા કોરોનાનો દાનવ જ્યારે નૃત્ય કરી રહ્યો છે. ત્યારે ભારતે તેને ડામવા લીધેલા પગલા અને અન્ય દેશોને કરેલી મદદને વિશ્વએ વખાણી છે. ત્યારે ભારતીયો પણ તેમાં જરાય પાછા નથી પડ્યા. આજે વિશ્વને કોરોનામાં ભારતની સાથે ભારતીયો પણ અગ્રેસર રહી વહારે આવ્યા છે. અનેક દેશોમાં કોરોનાને ડામવા રચવામાં આવેલી ટીમમાં ભારતીયો પ્રમુખ સ્થાન ધરાવી જે તે દેશની મદદ કરી રહ્યા છે. ત્યારે અમેરિકા બાદ UKમાં વધુ એક ભારતીય ભારતનું ગૌરવ વધારશે.
ડૉ. વેંકટરામનને 2009માં નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યુ છે
એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી વેંકટરામન રામક્રિષ્નનની UKમાં કોરોના એક્સપર્ટ ગ્રુપના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. UKમાં કોરોનાનો આતંકને ડામવા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરાઈ છે. અહીં પણ એક ભારતીયએ સ્થાન મેળવ્યુ છે.
વર્ષ 2009 માં ડૉ. વેંકટરામનને નોબેલ પ્રાઈઝ પણ મળ્યું છે. ડૉ. વેંકટરામન એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી કેમેસ્ટ્રીમાં બી.એસ.સી કરેલું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય અને ભારતીય મૂળના 6 મહાનુભાવો કોરોનામાં ડામાડોળ થયેલી અમેરિકાની અર્થવ્યવસ્થાને પાટે ચઢાવવામાં યોગદાન આપી રહ્યા છે. આઈએમએફમાં બહારી સલાહકાર તરીકે રધુરામ રાજન કાર્યરત થયા છે. ત્યારે ડૉ. વેંકટરામન હવે UKમાં પોતાની કામગીરી કરીને ભારતના ગૌરવની કલગીમાં પીંછુ ઉમેરવાનું કામ કરશે.
ભારતીય મૂળના વૈજ્ઞાનિક વેંકટરમન રામકૃષ્ણનને રાઈબોસોમની સંરચના તથા કાર્યપ્રણાલીના અધ્યયન માટે અમેરિકાના ટોમસ એ. સ્ટેટ્જ અને ઈઝરાઈલના અડા. ઈ. યોનથની સાથે સંયુક્તમાં નોબલ પ્રાઈઝથી નવાજવામાં આવ્યા હતા. 1952માં તમિલનાડુના ચિદમ્બરમ જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. તેમણે 1976માં એક અમેરિકન યુનિ.માંથી પીએચડીની ડિગ્રી લીધી હતી.