અમદાવાદઃ શહેરનાં શાકમાર્કેટમાં શાકભાજીનાં ભાવમાં ૪૦ ટકાથી વધુનો ભાવ વધારો મોંઘવારીમાં પીસાતી પ્રજાને શાકભાજીનો ભાવ વધારો પડતા પર પાટું સમાન બન્યો છે. સામાન્ય દિવસોમાં રૂ. ૪૦નાં કિલો લેખે મળતાં કોથમીર, લીંબુ, લીલાં મરચાં હાલમાં રૂ. ૧૬૦ના કિલો થયા છે. જયારે રૂ. ૪૦થી ૬૦નાં કિલો પ્રમાણે મળતાં શાકભાજીના ભાવ રૂ. ૧૨૦ થી રૂ. ૧૪૦ને આંબી જતાં લોકોમાં બુમરાણ મચી છે. આમ શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં ૪૦ ટકાથી વધુનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
શાકભાજીનાં વિક્રેતાનાં જણાવ્યાં પ્રમાણે હાલમાં ઉનાળાની ગરમીના કારણે શાકભાજીની આવક ઓછી થઇ ગઇ છે તેથી ભાવમાં એકાએક વધારો થયો છે. સામાન્ય દિવસોમાં શાકભાજી રૂ. ૪૦ના કિલો મળતાં હતાં તે વધીને રૂ. ૧૪૦ની આસપાસ થયાં છે. જેમાં પરવળ, વટાણા, ચોળી જેવાં શાકના ભાવ રૂ. ૧૪૦ થી ૧૬૦ થઇ ગયા છે. ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ રહેતો હોઈ તેનાં ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
લીંબુના ભાવ પણ ૧ કિલોનાં રૂ. ૧૬૦ને આંબી ગયાં છે. તેવી જ રીતે મરચાં અને આદુંનો ભાવ પણ એક કિલોનાે રૂ. ૧૬૦એ પહોંચી ગયો છે. મોંઘવારીમાં પીસાતી પ્રજાને શાકભાજીનો ભાવ વધારો પડતા પર પાટું સમાન છે. ઉનાળામાં શાકભાજીની આવક ઓછી થતાં થોડા વધે પરંતુ બમણાં થાય નહીં. જમાલપુરનાં શાકમાર્કેટમાં શાકભાજી ઓછા ભાવે મળે તેના બમણા ભાવ સેમી હોલસેલ માર્કેટમાં વસૂલાતા હોઈ શાકભાજીના વેપારીઓએ સિન્ડિકેટ રચી ભાવ વધારાનો કારસો કર્યાનું લોકો માની રહ્યા છે. જમાલપુર શાકમાર્કેટમાં લીંબુ, કોથમીર, લીલાં મરચાં રૂ.૯૦થી ૧૦૦ના કિલો મુજબ વેચાય છે. જયારે પાલડી પાસે આવેલ સેમી હોલસેલ માર્કેટમાં લીલાં શાકભાજી ડબલ ભાવે વેચાણ થઈ રહ્યાં છે.