એક તરફ કાળઝાળ ગરમીના કારણે રાજ્યભરમાં લોકો ત્રસ્ત છે. ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવ પણ આસામને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ગરમીના કારણે શાકભાજી ખરાબ થઈ રહ્યા છે જેના કારણે માર્કેટમાં શાકભાજીના ભાવમાં બે ગણો વધારો થઈ ગયો છે. જેથી ગૃહિણીઓને શાકભાજીનો વઘાર મોંઘો પડી રહ્યો છે.
શાકભાજીના ભાવ પર નજર કરીઓ તો ભીંડામાં પ્રતિ કિલો 80થી 100 રૂપિયા ભાવ પહોંચ્યો છે. જ્યારે દુધીનો ભાવ પ્રતિ કિલો 50થી 60 છે. ગવાર પ્રતિ કિલો 100થી 120, ટામેટા પ્રતિ કિલો 60થી 70, ચોળી પ્રતિ કિલો 160થી 180, વટાણા પ્રતિ કિલો 80થી 100, લીંબુ પ્રતિ કિલો 100થી 160, ફ્લાવર પ્રતિ કિલો 60થી 80, કોબીજ પ્રતિ કિલો 50થી 60 અને મરચા પ્રતિ કિલો 80થી 90 રૂપિયાએ માર્કેટમાં વેચાઈ રહ્યા છે.
આમ, કાળઝાળ ગરમીની શરૂઆતની સાથે સાથે જ બજારમાં મળતા ભીંડાથી લઈને ભાજી સુધીના વધેલા ભાવ ગૃહિણીઓને દઝાડી રહ્યા છે. નિયમિત પાક ગણાતા ભીંડા તુરિયાં કે ટીંડોળાના ભાવ પણ આસમાને છે તો ઉનાળાના સિઝન ગણાતાં તુરિયાં, ગલકાં અને ગવાર ઊંચા ભાવે વેચાઇ રહ્યાં છે. આ વર્ષે તો એપ્રિલના પહેલા અઠવાડિયાથી જ દેશભરમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. જેના કારણે શાકભાજીનો પુરવઠો ઘટી ગયેલો જોવા મળ્યો છે .
હજુ પણ આવનાર દિવસોમાં ગૃહિણીઓને ભાવ વધારો સહન કરવો પડશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. શાકભાજીનું ઉત્પાદન સાબરકાંઠા જિલ્લામાં સારા પ્રમાણમાં થાય છે. સાબરકાંઠાથી મહારાષ્ટ્ર અને રાજસ્થાન દિલ્હીમાં શાકભાજીનો નિકાસ કરે છે. પરંતુ ગરમીના કારણે દૂરથી આવતાં શાકભાજી ખરાબ થઇ જવાના કારણે હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો નોંધાયો છે.