શહેરની એપીએમસી માર્કેટમાં અત્યારે કોરોનાના કહેર વચ્ચે પણ શાકભાજીના ભાવો તળિયે ગયા છે. જેના કારણે ગૃહિણીઓમાં ખુશાલીનો માહોલ છે. જોકે તેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
કોરોનાના કહેર વચ્ચે પણ શાકભાજીના ભાવો તળિયે ગયા
ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો
રાજ્યોમાં શાકભાજીની નિકાસ અટકતાં ભાવ ગગડયાં
હાલમાં અન્ય રાજ્યોમાં શાકભાજીની નિકાસ નહિ થતાં કોબીજ રૂ. ૩ પ્રતિ કિલો, ફ્લાવર રૂ.૫ પ્રતિ કિલો અને ટામેટાં રૂ. ૩ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. ખેડૂતોને વાવેતર તેમજ મજૂરીનો ખર્ચ નહિ નીકળતા ગૌશાળાઓમાં હવે ઘાસચારાના બદલે શાકભાજી જઈ રહ્યાં છે.
જોકે આ ભાવ ઘટાડાનો લાભ લોકોને મમળવાના બદલે વચેટિયાઓ લઇ રહ્યા છે. મોટા ભાગનાં શાકભાજી અત્યારે બજારમાં ૧૦થી ૧૫ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. મિડલ ઇસ્ટ દેશોમાં નિકાસ ઓછી થવા ઉપરાંત ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વરસાદના પગલે શાકભાજીની સારી આવક થતાં ગુજરાતમાંથી શાકભાજી તેઓ મગાવી રહ્યા નથી.
જેના પગલે વડોદરા માર્કેટમાં શાકભાજીના ભાવ સાવ તળિયે બેસી ગયા છે. બીજાં રાજ્યમાં શાકભાજીની માંગ વધે તો જ શાકભાજીના ભાવ ઊંચકાશે ત્યાં સુધી ગૃહિણીઓને રાહત રહેશે, તેવું હોલસેલ વેપારીઓ દ્વારા જાણવા મળે છે.
આ સાથે માવઠાના કારણે શાકભાજીની આવક ત્રણ ગણી વધી જતાં માર્કેટયાર્ડમાં મફતના ભાવે શાકભાજી વેચાઇ રહ્યાં છે. કોરોના વાઈરસને સરકારના ધારા ધોરણ મુજબ ૨૫ ટકા નિકાસમાં ઘટાડો થયો છે. ટામેટાં, મરચાં જે મિડલ ઇસ્ટ દેશો કે યુરોપમાં શાકભાજીની નિકાસ થતી હતી તેના પર બ્રેક વાગી ગઇ છે.