સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક સાથે 452 કર્મચારીઓને 31 ઓક્ટોબર સુધીમાં તબક્કાવાર છૂટા કરશે. પગારના ખર્ચનું કારણ ધરી એક વર્ષ પહેલા ભરતી કરાયેલા 452 કર્મચારીઓને છુટા કરાવાનો નિર્ણય.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 452 કર્મચારીને છૂટા કરશે
31 ઓકટોબર સુધીમાં તમામને તબક્કાવાર કરાશે છૂટા
ભરતીના એક વર્ષ બાદ યુનિવર્સિટીને દેખાયો પગારખર્ચ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા 452 જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલી સિન્ડિકેટરની બેઠકમાં કલાક આધારિત કામ કરતા 452 કર્મચારીઓને તબક્કવાર છુટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પગારનો ખર્ચ ન પોષાતા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કરાયો છે.
સારા પગારની આશાએ જૂની નોકરી છોડીને આવ્યા હતા કર્મચારીઓ
એક વર્ષ પહેલા યુનિવર્સિટીમાં કર્મચારીઓની ઘટ અને કાયમી કર્મચારીઓ પર કામનું ભારણ વધુ હોવાનું કહીને કલાક આધારિત 452 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. જેના કારણે ઘણા કર્મચારીઓ સારો પગાર મળવાની આશાએ જૂની નોકરી છોડીને આવ્યા હતા. ભરતી કરવામાં આવેલા કર્મચારીઓને કલાકના 75 રૂપિયાથી લઈને 400 રૂપિયાથી વધુ વેતન ચૂકવવામાં આવતું હતું.
કર્મચારીઓની હાલત કફોડી બની
કર્મચારીઓની ભરતી કરાયા બાદ માત્ર પોતાના માણસોને ગોઠવા માટે જ આ તખ્તો તૈયાર કરવામાં આવ્યો હોવાની શિક્ષણવિદોમાં ચર્ચા હતી. છેલ્લા એક વર્ષથી કર્મચારીઓને દર મહિને રૂ.55 લાખથી વધુનો પગાર ચૂકવવામાં આવી રહ્યો હતો. ત્યારે VNSGUના સત્તાધીશો દ્વારા નોકરીની લહાણી કર્યાના એક વર્ષમાં 6 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યા બાદ ભાન થયું કે ખોટો ખર્ચ થઇ રહ્યો છે. યુનિવર્સિટીએ સેન્ટ્રલ ડેવલોપમેન્ટ ફંડમાંથી પગાર પેટે એક વર્ષમાં 6 કરોડ રૂપિયા પગાર પાછળ ખર્ચી નાખ્યા બાદ આ ખોટો ખર્ચ થતો હોવાનું સત્તાધીશોને સમજાયું છે. હવે 452 કર્મચારીને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવતા કર્મચારીઓની હાલત કફોડી થઈ છે.