વાયુ વાવાઝોડું ગુજરાતના માથે મંડરાય રહ્યું છે. આવતીકાલે ગુજરાતમાં ત્રાટકી શકે છે. ત્યારે વાવાઝોડા પહેલા રાજ્યના અનેક ક્ષેત્રોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ઠેર-ઠેર વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્ર પર 'વાયુ' વાવાઝોડુંનો ખતરો હજુ યથાવત છે. કાલે બપોર પોરબંદર-વેરાવળ વચ્ચે વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડુંની સ્પીડમાં ઘડાડો પણ પવનની તીવ્રતામાં વધારો થયો છે. આ વાવાઝોડું 150થી 160 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. વાયુ વાવાઝોડાની અસર શરૂ થઇ છે ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
કચ્છમાં ભારે પવન સાથે શરૂ થયો વરસાદ
વાયુ વાવાઝોડાની અસર કચ્છમાં પણ જોવા મળી હતી. કચ્છના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે કચ્છમાં વરસાદ પડ્યો હતો. તો ભૂજ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો હતો. જો કે વરસાદ પડતા ગરમીમાં રાહત જોવા મળી હતી.
દાહોદ જલ્લાના વાતાવરણમાં પલટો
દાહોદ જલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગરમી બાદ પવન ફુંકાતા વાતાવરણમા ઠંડક પ્રસરી છે. ઝરમર વરસાદ શરૂ થતા લોકોએ રાહત અનુભવી છે. વાતાવરણમાં પલટો આવતા જ વિજળી ગુલ થઇ ગઇ છે. વિજળી ગુલ થતા લોકો પરેશાન થયા છે.
અરવલ્લીના બાયડમાં તેનપુરમાં ભારે વરસાદ
અરવલ્લીના બાયડમાં તેનપુરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દોઠ ઇંચ વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. ભાંખરિયા ગામે છતનું પતરુ વાગતા એક વ્યક્તિનું મોત થયું છે.
અમદાવાદના વાતાવરણમાં પલટો
અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. શહેરમાં ભારે પવન ફૂંકાય રહ્યો છે. જેના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે પવન સાથે શહેરના કેટલા વિસ્તારોમાં છાંટા પણ પડ્યા હતા. અમદાવાદમાં નરોડા, રાણીપ તેમ જ પૂર્વના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સમગ્ર શહેરમાં અચાનક વાતાવરણ બદલાઈ જતાં વાદળછાયું વાતાવરણ તેમ જ પવન ફૂંકાવા લાગ્યો હતો.
સાથે રાજ્યના વલસાડ, ગીર સોમનાથ, જામનગર, ઉના, ડાકોર, વડોદરા, નડીયાદ, સેવાલીયા, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.