દેશમાં જ્યાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં વાવાઝોડાને લઇને ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, વાયુ વાવાઝોડું ગણતરીના કલાકોમાં રાજ્યના દરિયા કિનારે ટકરાઈ શકે છે. ત્યારે રાજ્યમાં વાવાઝોડાને લઈને તંત્ર અલર્ટ થયું છે.
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની વધુ અસર થઈ શકે છે. જેને પગલે કોસ્ટલ એરિયાથી નજીકના ગામડાઓ ખાલી કરાવવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ કોસ્ટલ એરિયા નજીકના ગામડાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો મહેસુલ વિભાગે કલેક્ટરો પાસે આવા ગામડાઓ અને શહેરોની વિગતો માગી છે. જે મામલે કલેક્ટર સરકારને રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટના આધારે અને વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને ગામડાઓ ખાલી કરાવવા અંગે નિર્ણય લેવાશે. તો લોકોનું સ્થળાંતર કરીને શાળા અને ધર્મશાળામાં લોકોને આશરો આપવા માટેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ગીરસોમનાથ, કચ્છ, અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, જામનગર, પોરબંદરમાં શાળાઓ બે દિવસ બંધ રહેશે. જોકે હજુ કેટલાક જિલ્લાઓમાં રજા જાહેર કરવામાં આવી શકે છે.
કયાં-કયાં શૈક્ષણિક કાર્ય રહેશે બંધ ?
ગીર સોમનાથ
કચ્છ
અમરેલી
રાજકોટ
ભાવનગર
દ્વારકા
જામનગર
પોરબંદર
જામનગરમાં 2 દિવસ શાળા-કોલેજો બંધ
વાયુ વાવાઝોડા ગુજરાતના દરિયાકાંઠાની નજીક છે ત્યારે તંત્ર દ્વારા શાળા-કોલેજો બંધ કરવાના નિર્ણય લેવાયા છે. જામનગરમાં 2 દિવસ શાળા અને કોલેજો બંધ રહેશે. 12 અને 13 જૂનના દિવસે વાવાઝોડાને લઈ નિર્ણય લેવાયા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે.
રાજકોટમાં 12-13 તારીખે રજા જાહેર કરાઇ
વાયુ વાવાઝોડાને લઈ રાજકોટ તંત્ર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાભરની શાળા-કોલેજો 2 દિવસ બંધ રહેશે. તારીખ 12 અને 13 તારીખે રજા જાહેર કરાઈ છે. શાળા કોલેજમાં એક વ્યક્તિને ફરજિયાત હાજર રખાશે. શિક્ષણ અધિકારીએ તમામ શાળા-કોલેજોને આદેશ કર્યા છે.
અમરેલી જિલ્લાની શાળાઓ બે દિવસ રહેશે બંધ
વાયુ વાવઝોડાને લઇને અમરેલીમાં પણ તંત્ર અલર્ટ થયું છે. અમરેલી જિલ્લામાં પણ શાળાઓમાં બે દિવસની રજા રાખવામાં આવી છે. 12 અને 13 તારીખે શાળાઓ બંધ રાખવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને આદેશ કરવામાં આવ્યો છે.
ભાવનગરમાં 12 અને 13 તારીખે શાળા અને આંગણવાડીઓ બંધ રહેશે
વાયુ વાવાઝોડાને લઈને ભાવનગરનુ તંત્ર અલર્ટ બન્યું છે. ભાવનગરમાં 12 અને 13 તારીખે શાળાઓ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આંગણવાડીઓમાં રજા રાખવા કલેક્ટરે આદેશ કર્યો છે. કલેક્ટરના કહેવા પ્રમાણે જો ભાવનગરમાં જરૂર પડશે તો NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવશે.
બોટાદમાં શાળા કોલેજો બંધ રાખવા આદેશ
વાયુ વાવાઝોડાને લઈને શાળા કોલેજો 2 દિવસ બંધ રહેશે. તા.12 અને 13 ના શાળા-કોલેજો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. શાળાના સ્ટાફને સ્કૂલ પર હાજર રહેવા સૂચના અપાઈ છે.