વાયુ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકિનારે પહોંચી ગઇ છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં ગીર સોમનાથ, જામનગર, ઉના, વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા તેની અસર શરૂ થઇ ગઇ છે. રાજ્યના વલસાડ, ગીર સોમનાથ, જામનગર, ઉના, ડાકોર, વડોદરા, નડીયાદ, સેવાલીયા, ખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ચૂક્યો છે.
સૌરાષ્ટ્ર પર 'વાયુ' વાવાઝોડુંનો ખતરો હજુ યથાવત
કાલે બપોર પોરબંદર-વેરાવળ વચ્ચે વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડુંની સ્પીડમાં ઘડાડો પણ પવનની તીવ્રતામાં વધારો થયો છે. 'વાયુ' વાવાઝોડું 150થી 160 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં અસર થઇ શકે છે. દ્વારકા, જામનગર, કચ્છમાં પણ વાયુ વાવાઝોડાનો ખતરો યથવાત છે. અમરેલી, ભાવનગરને વાયુ વાવાઝોડાની અસર થવાની સંભાવના છે. 'વાયુ' વાવાઝોડું પોરબંદર તરફ ફંટાવાની સંભાવના વધુ છે. 'વાયુ' વાવાઝોડુંએ આંશિક રીતે દિશા બદલી પણ તીવ્રતા વધી ગઇ છે. 'વાયુ' વાવાઝોડું પોરબંદરથી 230 કીમી દૂર છે.
જામનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો
વાયુ વાવાઝોડાની અસર જામનગર સુધી પહોંચી ગઈ છે. જામનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. જોરદાર પવનના સુસવાટા વચ્ચે ગાજવીજ સાથે વરસાદ શરુ થતા જ શહેર થંભી ગયું છે. વાતાવરણમાં પલટા સાથે કાળા ડિબાંગ બાદળો આકાશમાં છવાયા છે. અસહ્ય ગરમી બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તોફાની વરસાદ વચ્ચે વૃક્ષો પણ ધરાશાઈ થયા હતાં. જોકે આ તો ચક્રવાત વાયુની અસર છે. જો ચક્રવાત વાયુ પહોંચ્યું તો સ્થિતિ વણસી શકે છે.
વાયુ વાવાઝોડાની અસર મોરબીમાં દેખાઈ
વાયુ વાવાઝોડાની અસર મોરબીમાં દેખાઈ છે. વાવાઝોડાની અસરને લઈને મોરબીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અસહ્ય બફારા વચ્ચે મોરબીમાં વરસાદ શરૂ થયો હતો. મળતી માહિતી મુજબ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. પવનની તેજ ગતિ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
વડોદરાના ડભોઇ પંથકમાં મેઘરાજાની પધરામણી
વડોદરા પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો છે. વડોદરાના ડભોઈમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. વરસાદ સાથે પવન પણ જોવા મળી રહ્યો છે. વરસાદની પધરામણીથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
ઉનાના દરિયામા ભારે પવન સાથે વરસાદ
`વાયુ' વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતુર બન્યો છે. ઉનાના નવાબંદરમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. નવાબંદરનો દરિયો ગાંડોતુર બન્યો છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તંત્ર પણ વાયુ વાવાઝોડાને લઈને એલર્ટ થઈ ગયું છે.
ગીર સોમનાથના અમુક વિસ્તારમા હળવો વરસાદ શરૂ
ગીર સોમનાથના અમુક વિસ્તારમાં હવે વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગીર સોમનાથના અમુક વિસ્તારમાં હવે હળવો વરસાદ શરૂ થયો છે. જેથી હવે ઉનાના પટ્ટી ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આ સિવાય કોડિનારના માધાવાડ સહિતા પણ ગામોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કારણ કે વાવાઝોડાના પગલે ગીર સોમનાથનો દરિયો ગાંડોતૂર બની રહ્યો છે અને ગમે ત્યારે તે વિકરાળ રૂપ લઈ શકે છે. ત્યારે હાલ દરિયાકાંઠાના વિસ્તારના ગામોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
રણછોડજી મંદિરના મુખ્ય દ્વારા પર ભરાયા પાણી
વાયુ વાવાઝોડાની અસર યાત્રાધામ ડાકોરમાં પણ જોવા મળી રહી છે. રણછોડજી મંદિરના મુખ્ય દ્વારા પર ભરાયા પાણી છે. ભક્તો ઢીંચણ સુધીના પાણીમાંથી પસાર થઈ દર્શન કરી રહ્યાં છે. ડાકોરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે.
ખેડા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ
વાયુ વાવાઝોડાની ખેડા જિલ્લામાં પણ અસર જોવા મળી છે. નડીયાદ, સેવાલીયા સહિત ખેડામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે.