ગુજરાતમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાયુ વાવાઝોડુ 150 થી 160 કીમી પ્રતિ કલાકની ઝડપે જમીન પર આવશે. ત્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં અસર થઇ શકે છે. તો દ્વારકા, જામનગર અને કચ્છમાં પણ વાયુ વાવાઝોડાનો ખતરો યથવાત છે. જ્યારે અમરેલી અને ભાવનગરમાં પણ વાયુ વાવાઝોડાની અસર પડવાની સંભાવના સેવાઈ રહી છે. આમ, સૌરાષ્ટ્ર પર વાયુ વાવાઝોડાનો ખતરો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાનું છે. ત્યારે વાયુ વાવાઝોડાને લઇને હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં માહિતી આપવામાં આવી છે કે વાયુ વાવાઝોડાંની આંશિક રીતે દિશા બદલાઇ છે અને તે આવતીકાલે બપોરે પોરબંદર-વેરાવળ વચ્ચે વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે લોકો વાવાઝોડાથી બચવા માટે દૂર જવાના બદલે દરિયાને જોવા પહોંચી ગયા.
પોરબંદરના દરિયામાં તોફાની મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડું નજીક આવી રહ્યું છે ત્યારે દરિયો તોફાની બન્યો છે. જેને જોવા લોકોના ટોળા ઉમટ્યા છે. પોરબંદરની ચોપાટી પર જતા લોકોને પોલીસે અટકાવ્યા હતા. મહત્વનું છે કે, તંત્ર દ્વારા ગુજરાતના દરિયાકાંઠાને અલર્ટ જાહેર કરાયું છે. જેમાં કાંઠા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે રહેવા સૂચન કરવામાં આવેલું છે.
ત્યારે આ વાતને લોકો ધ્યાને ન લઇને દરિયાકાંઠે પોતાના બાળકોને લઇને દરિયો જોવા પહોંચી ગયા છે. લોકો ઉછળતા મોજા સાથે સેલ્ફી લઇ રહ્યા છે. ભારે પવન અને વરસાદ વચ્ચે લોકો દરિયાને નિહાળી રહ્યા છે. ત્યારે આ પ્રકારે લોકોની બેદરકારીથી મોટુ નુકસાન થઇ શકે છે. લોકોએ આવા સમયે સુરક્ષિત સ્થળે રહેવું યોગ્ય રહેશે.