વાયુ વાવાઝોડુ ગુજરાતથી 350 કીમી દૂર છે. ત્યારે જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ પોરબંદર, ગીરસોમનાથમાં અસર શરૂ થઇ ગઇ છે. પોરબંદરમાં વરસાદ શરૂ થઇ ગયો છે. ત્યારે ગીરસોમનાથ અને દીવમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે માડી રાત્રે અથવા કાલે વહેલી સવારે વાયુ વાવાઝોડું ત્રાટકી શકે છે. જેમાં સૌથી વધુ અસર સોમનાથ, પોરબંદર, કચ્છને થઇ શકે છે. જેને લઇ આર્મીની 34, NDRFની 15 અને SDRFની 11 ટીમો ખડે પગે છે અને હાલ પ્રભાવિત થાય તેવા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. પોરબંદરના કાંઠા અને નીચાણવાળા 75 ગામમાંથી 35 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ઉના પટ્ટીના ગામમાં પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત પર વાયુ વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. સમુદ્રમાં વાયુ વાવાઝોડાની ગતિમાં વધારો થઇ છે ત્યારે વાવાઝોડું વધુ રુદ્ર બને તેવી પણ શક્યતાઓ છે. ત્યારે વાયુ વાવાઝોડું 13 જૂન એટલે કે આવતીકાલે સવારે 5 વાગ્યે 140થી 150 કિલોમીટરની ગતિએ ગુજરાત પર ત્રાટકી શકે છે. જેની અસર સૌરાષ્ટ્રના 10 જિલ્લા અને 31 તાલુકાઓને થાય તેવી શક્યતા છે. એટલે કે રાજ્યના 60 લાખ નાગરિકોને વાયુ વાવાઝોડાની અસર થશે. ત્યારે 400 જેટલા ગામડાઓ પર વાવાઝોડાની વ્યાપક અસર થવાની શક્યતા છે. જેને લઇ વ્યવસ્થા તંત્ર પણ સજ્જ બન્યું છે અને મંત્રીઓને જિલ્લાઓની સલામતિની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ભુપેન્દ્રસિંહને ગીર સોમનાથની જવાબદારી, વિભાવરીબેનને ભાવનગરની જવાબદારી, જયેશ રાદરિયાને પોરબંદરમાં બચાવ રાહતની જવાબદારી સોંપાઇ છે, દિલીપ ઠાકોરને કચ્છ અને સૌરભ પટેલને રાજકોટની જવાબદારી સોંપવામાં આવી છે.
જ્યારે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યૂ માટે પણ તંત્ર ખડેપગે છે. અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં અનેક ગામડાઓના હજારો લોકોને ST બસો દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવશે. જેને લઇ રાજ્યભરમાં કુલ 700 જેટલા સલામત સ્થળ તૈયાર કરાયા છે. તો સાથે જ આંગણવાડી, શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવાઇ છે અને અસરગ્રસ્ત જિલ્લાઓમાં દરિયાકાંઠે સિગ્નલો અપાયા છે અને અલગ અલગ જિલ્લાઓમાં હેલ્પલાઈનો શરૂ કરાઇ છે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ, વાહન વ્યવહાર વિભાગને સૂચન કરાયા છે, જેમાં હોસ્પિટલ સ્ટાફ અને સરકારી કર્મચારીઓની રજાઓ મૌકૂફ કરી દેવાઇ છે. ત્યારે વાયુ વાવાઝોડાને લઇ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પાણી પુરવઠા, વીજ વિભાગો પણ સતર્ક છે. હાલ ગુજરાત SDRFની 10 ટીમ, આર્મીની 10 ટીમ તૈનાત કરી દેવાઇ છે. આર્મીની અન્ય 23 ટીમોને પણ રિઝર્વ રાખવામાં આવી છે. જ્યારે કચ્છમાં બચાવ કાર્ય માટે BSFની 2 ટીમ ખડેપગે છે. તો રસ્તા ખુલ્લા કરવા માટે 100 JCB રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત ખોરવાયેલા વીજપુરવઠાને લઈ GEBને સતર્ક કરાયું છે. સાથે જ દરિયાકિનારે માછીમારોને વાવાઝોડાને લઇ સલામત સ્થળે પહોંચવા સૂચનો અપવામાં આવ્યા છે. તો સીએમ રૂપાણીએ NGO, મંદિરો અને સંસ્થાઓને તંત્રની કામગીરીમાં જોડાવા આહવાન કર્યું છે. જ્યારે પ્રવાસીઓને પણ સલામત સ્થળે ખસી જવા સૂચનો કરાયા છે. તો વાયુ વાવાઝોડાને લઇ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પૂર્ણ સહયોગની બાંહેધરી આપી છે. પીએમ મોદીએ સીએમ રૂપાણીને ફોન કરીને જાણકારી મેળવી છે અને જિલ્લા કક્ષાઓ પર પણ ઉચ્ચ અધિકારીઓ સમીક્ષા કરી ચૂક્યા છે.