અરબી સમુદ્રમાં ઉઠેલા વાવાઝોડાના કારણે ગુજરાત પર સંકટનો ખતરો છે. 'વાયુ' નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાને રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર દરિયાકિનારાઓ પર સાવચેતીનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
'વાયુ' વાવાઝોડાંનું સંકટ
સૌરાષ્ટ્રમાં વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવનાને લઈને તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપી છે. જેથી ભાવનગરમાં ડિઝાસ્ટર વિભાગમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાવાઝોડાની આગાહીને લઈને કોસ્ટલ વિસ્તારમાં આવતા 34 ગામોને એલર્ટ આપવામાં આવ્યુ છે.
3 બંદરો ઉપર ડી.સી. એક સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જ્યારે જિલ્લામાં મહુવા, ઘોઘા અને સરતાનપર જેવા બંદરોમાંથી દરિયામાં ગયેલા 255 બોટને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી છે.
વાવાઝોડાની આગાહીને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટ, NDRFની ટીમ માટે એડવાન્સમાં જાણ કરવામાં આવી છે. ભાવનગરની ડિઝાસ્ટર ટિમને ખાસ સેટેલાઇટ ફોન પણ આપવામાં આવ્યો છે અને તે ગ્રામ્ય વિસ્તારોમાં સતત સંપર્કમાં રહેશે તેમ ભાવનગરના અધિક કલેક્ટરે જણાવ્યું છે.
મહત્વનું છે કે, નવલખી, જાફરાબાદ, પોરબંદર, ઉના, વેરાવળ, અમરેલી, ભાવનગર અને સોમનાથ સહિતના ગુજરાત-સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
વાવાઝોડા મામલે મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન
અરબી સમુદ્રમાં વાવાઝોડા મામલે મુખ્યમંત્રીનું નિવેદન કર્યુ છે. તેમણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચન કર્યુ છે. તેમજ દરીયામાં ગયેલા માછીમારોને સુરક્ષિત જગ્યાએ જવા સુચન કર્યુ છે. તેમજ તંત્રને પણ વાવાઝોડાને લઈ એલર્ટ રહેવા માટે જણાવ્યુ છે. કોઈપણ જાતનું નુકશાન ન થાય તે માટે તેમણે સુચન કર્યુ હતું.
વાવાઝોડા મામલે પંકજ કુમારનું નિવેદન
બેઠક બાદ મહેસુલ વિભાગના અધિક સચિવ પંકજ કુમારની પત્રકાર પરિષદ યોજી હતી. સૌરાષ્ટ્રમાં વાવાઝોડા મામલે પંકજ કુમારનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં સઆઈક્લોનની અસર થશે. વેરાવળથી 930 કિમિ દૂર સમુદ્રમાં ડિપ્રેશનની અસર છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાઈક્લોનની અસર થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાનો ખતરો છે. દરિયામાંથી મોટાભાગની બોટ પાછી આવી ગઈ છે. દરેક પોર્ટ પર 1 નંબરનુ સિગ્નલ જાહેર કરાયુ છે. જે બોટ પાછી નથી આવી તેનું મોનિટરિંગ ચાલુ છે. તમામ ગતિવિધીઓ પર રાજ્ય સરકારની નજર છે.
વધુમાં તેમણે કહ્યું કે, કોસ્ટગાર્ડ, આર્મી, NDRF, એરફોર્સ સાથે ચર્ચા થઈ છે. દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટરોને અલર્ટ કરાયા છે. પ્રવાસીઓને દરિયા કાંઠે નહી જવા માટે સુચનો કરાયા છે. બચાવકાર્યો માટે ગુજરાતની 15 ટીમ મોકલવામાં આવશે. અન્ય રાજ્યોની ટીમોની પણ બચાવકાર્ય માટે મદદ લેવાશે. અમદાવાદ આર્મી, ધાંગધ્રા અને કચ્છની આર્મીને અલર્ટ અપાયા છે. દરિયાકાંઠાના ગામડાઓને જરૂર જણાતા ખાલી કરાશે. આવતીકાલે ગામડાઓ ખાલી કરવા મુદ્દે નિર્ણય લેવાશે.