છેલ્લાં અડતાલીસ કલાકથી રાજય પર ધાસ્તી બનીને છવાયેલા વાયુ વાવાઝોડાનું જોખમ હાલ ટળી ગયું છે. વાયુ વાવાઝોડાનું જોખમ ઘટી જતાં રાજ્યવાસીઓમાં હાશકારાની લાગણી થઈ આવી છે. ત્યાર ઉનાના નવીબંદર ગામનાં ગ્રામજનોમાં ખુશીની લહેર જોવાં મળી રહી છે. વાવઝોડાની અસર હળવી થતા શેલ્ટર હોમમાં રોકાયેલા ગ્રામજનો ગામમાં પરત ફર્યા છે. દરિયામાં કરંટ ધીમો થતા ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનું જોખમ હાલ ટળી ગયું છે. પરંતુ દરિયામાં ઉદભવેલા તોફાને સમગ્ર રાજ્યમાં ચોમાસાનો માહોલ ખડો કરી દીધો છે. દરિયાકાંઠા વિસ્તારમાં તેજગતિએ પવન હજુ પણ ફુંકાઈ રહ્યો છે. જેનાં કારણે વૃક્ષો, વીજસ્થંભો અને શેડ હવામાં ફંગોળાઈ ગયા છે. ક્યાંક ઝાપટાભેર વરસાદ પણ વરસી રહ્યો છે. જો કે તેમ છતાં રાજ્યમાથેથી હાલ જોખમ ટળ્યાનો હાશકારો જરૂર સંભળાઈ રહ્યો છે અને આ જ હાશકારા સાથે નાગરિકો પ્રતિબંધ હોવા છતા દરિયા કિનારે ટહેલતા જોવા મળી રહ્યાં છે. ત્યારે અહીં જોઈએ લોકોમાં ભય અને રોમાંચ મિશ્રિત મનોદશાનો આ અહેવાલ.
છેલ્લાં અડતાલીસ કલાકથી રાજય પર ધાસ્તી બનીને છવાયેલા વાયુ વાવાઝોડાનું જોખમ હાલ ટળી ગયું છે. વાયુ વાવાઝોડાનું જોખમ ઘટી જતાં રાજ્યવાસીઓમાં હાશકારાની લાગણી થઈ આવી છે. ત્યાર ઉનાના નવીબંદર ગામનાં ગ્રામજનોમાં ખુશીની લહેર જોવાં મળી રહી છે. વાવઝોડાની અસર હળવી થતા શેલ્ટર હોમમાં રોકાયેલા ગ્રામજનો ગામમાં પરત ફર્યા છે. દરિયામાં કરંટ ધીમો થતા ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. વાવાઝોડાની સ્થિતિ સામાન્ય થતા ગ્રામજનો દરિયાના ઉછળતા મોજા જોવા દરિયાકાંઠે આવ્યા હતાં.
જો કે વાયુ વાવાઝોડાનું રાજ્યની જમીન સાથે ટકરાવાનું જોખમ ભલે ટળી ગયું હોય પરંતુ તેની અસર હજુ એટલી જ તીવ્ર છે. મધદરિયેથી ઉઠેલા તોફાનને કારણે સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારમાં ભયંકર પરિસ્થિતિ સર્જાઈ. પોરબંદર, ઓખા અને અમરેલીથી આવેલી ત્રણ તસ્વીરોમાં વાયુ વાવાઝોડાની દસ્તક સમયની સ્થિતિ જોવાં મળી રહી છે. વાયુ વાવાઝોડાની અસરને લઈને પોરબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે.
પોરબંદરનાં દરિયામાં 15 ફૂટથી ઊંચા મોજા ઉછળ્યા હતાં. જેને લઈને દરિયાકિનારાનો વિસ્તાર ખાલી કરવાનો કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તો ઓખામાં પણ વાયુ વાવઝોડાની અસર યથાવત છે. ઓખા દરિયામાં ભારે ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. જેને લઈને ઓખાથી બેટ દ્વારકાનો દરિયાઈ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જ બેટ દ્વારકા અને ઓખા દરિયા પર પોલીસ અને NDRF ટીમ તહેનાત કરવામાં આવી છે. ઉપરાંત અમરેલીનાં જાફરાબાદ તાલુકામાં શિયાળ બેટથી એક પ્રસુતાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. મહિલાને હોસ્પિટલ પહોંચાવડા માટે એક બોટ અને ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી. આ મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો છે.
વાયુ વાવાઝોડુ ભલે ગુજરાતનાં દરિયાકાંઠા વિસ્તારની નજીક થઈને આગળ વધી રહ્યું હોય. તેમ છતાં કેટલાક વિસ્તારોમાંથી પવનને કારણે નુકસાન થયાનાં સમાચાર સામે આવ્યાં છે. પોરબંદર, કચ્છ અને ભાવનગરની પરિસ્થિતિને ગંભીરતાને સમજી શકાય કેમ કે પોરબંદરનાં માધવપુરમાં વાયરલેસ ટાવર ધરાશાયી થયો છે. જાણકારી મળી છે કે અનેક ફરિયાદો બાદ પણ જૂના પોલીસ સ્ટેશનનો ટાવર નહીં ખસેડાતા છેવટે વાવાઝોડાએ તેને જમીનદોસ્ત કરી નાખ્યો.
ઉપરાંત કચ્છનાં માંડવીમાં પણ તોફાની પવનની અસર જોવા મળી. માંડવીથી મુદ્રા વચ્ચે દરિયા કિનારે આવેલી એક હોટેલના પતરા ઉડી ગયાં છે. જ્યારે ભાવનગરનાં રેલવે સ્ટેશનની આ તસ્વીર એ વાતનો પુરાવો છે કે કુદરતનાં કહેરની ઝલક માત્ર, કેટલી ભયંકર હતી. વાયુ વાવોઝોડાને લઈને રેલવે સ્ટેશન પર મુકેલા બાકડો ઉડી ગયો. જો કે સારી વાત એ છે કે આ ત્રણેય ઘટનમાં કોઈ જાનહાની થઈ નથી.
ગુજરાત પર મંડરાઈ રહેલી વાયુની આફત તો ટળી છે. પરંતુ તેની અસર દરિયાકાંઠાનાં વિસ્તારોમાં જોવાં મળી. દરિયો તોફાની બનતા દરિયા કિનારાનાં તમામ ગામડાઓ અને આસપાસનાં વિસ્તારોમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ક્યાંક લોકોનાં ઘરમાં દરિયાનાં પાણી ઘૂસી ગયા તો ક્યાંક દરિયો લોકોનાં ઘરને જ તાણીને લઈ ગયો. તો બીજી તરફ ભારે પવનનાં કારણે ખેડૂતોએ પણ પાકની નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. હજુ પણ જિલ્લામાં ભારે પવન ફૂંકાય રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવાં મળી રહ્યો છે.