આવતી કાલે વાયુ વાવાઝોડુ સૌરાષ્ટ્રમાં ત્રાટકશે જેને લઇનં રાજ્યભરમાં તંત્ર સાબદુ બન્યુ છે. વાયુ વાવાઝોડાની અસરની શક્યતાને લઇને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. વાયુ વાવાઝોડાને લઇને રાજ્યના 11 જિલ્લા પ્રભાવિત થશે. રાજ્યમાં અંદાજે 3 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.
ધોરાજી તંત્ર હરકતમાં, 70 જેટલા કુટુંબોનું સ્થળાંતર કરાયું વાયુ વાવાઝોડાને લઇ ધોરાજીમાં તંત્ર હરકતમાં આવ્યું છે. જેને લઇ હાલ 70 જેટલા પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને અન્ય પરિવારોનું સ્થળાંતર કરવાની સૂચના આપી દેવાઇ છે. સાથે જ નીચાણવાળા વિસ્તારમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે. ફરેણી રોડ, ભૂખી ગામ અને રાજ સોસાયટી સહિતના 7થી 8 વિસ્તારોમાં હાઇએલર્ટ આપી દેવાયું છે. ધોરાજી નગરપાલિકા દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.
પોરબંદરના કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર શરૂ
વાયુ વાવાઝોડાને પગલે પોરબંદરમાં NDRFની ટીમ કામે લાગી ગઈ છે.. પોરબંદરમાં હાઈ એલર્ટને પગલે કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું છે.. ખાડી પાસેના વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરાયું છે..74 ગામમાંથી 35 હજાર લોકોનું સ્થળાંતર કરીને આશ્રય સ્થળો પર લઈ જવામાં આવી રહ્યા છે..તો શહેરી વિસ્તારમાંથી 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવશે
જાફરાબાદના 28 ગામોમાંથી સ્થળાંતરની કાર્યવાહી...
વાવાઝોડાના લઈને જાફરાબાદમાં પણ હવે સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાયુ વાવાઝોડાના પગલે હવે પોલીસને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. પોલીસ પણ સ્થાનિકોના સ્થળાંતરની કામગીરીમાં જોડાઈ છે. મહત્વનું છે કે 28 ગામોમાંથી સ્થાનિકોને સ્થળાંતરિત કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. જાફરાબાદમાંથી હાલ મોટા પાયે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે.
દ્વારકાના રૂપેણ બંદરથી લોકોને સલામત સ્થળે ખસેડાયાં...
વાવાઝોડાની અસરને લઇને દ્વારકામાં પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સાથે સ્થાનિક પોલીસ સતર્ક થઇ છે. દ્વારકાના રૂપેણ બંદર ખાતે માછીમારો અને સ્થાનિકોને સ્કૂલ ખાતે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ત્યારે NDRFની ટીમ પણ દ્વારકા પહોંચી ચૂકી છે. સાથે સ્થાનિક પોલીસ સહિત વહીવટી તંત્ર ખડેપગે છે. રૂપેણ બંદર ખાતેથી 20 હજારથી વધુ લોકો દરિયા કિનારે વસવાટ કરે છે જેમનું હાલ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
જામનગર જિલ્લામાં વાવાઝોડાને લઇને લોકોનું સ્થળાંતર શરૂ
વાયુ વાવાઝોડાના પગલે હવે જામનગરમાં પણ સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લાના 3 તાલુકાના 25 ગામડાઓમાંથી સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ સાંજ સુધીમાં અંદાજે 13 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.
ભરૂચ તંત્ર હરકતમાં, લોકોને સ્થળાંતર કરવા સૂચના
વાયુ વાવાઝોડાના પગલે ભરૂચ તંત્ર પણ સતર્ક છે. વાયુ વાવાઝોડાના પગલે હાંસોટ, દહેજ, જંબુસરના દરિયાઈ વિસ્તારના લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ, મીઠાના અગરમાં કામ કરતા શ્રમિકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તંત્રએ તજવીજ હાથ ધરી છે. જો બપોર સુધીમાં વાવાઝોડાની અસર દેખાશે તો દરિયાકાંઠાના લોકોને પણ સ્થળાંતર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
નવસારીના 24 ગામોને કરાયાં અલર્ટ
વાયુ વાવાઝોડાની અસરના પગલે નવસારી જિલ્લાના 24 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના 52 કિલોમીટર દરિયાઈ વિસ્તારના 24 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નવસારી, સુરત અને વલસાડના દરિયાઈ વિસ્તારને પણ અલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કીરને જલાલપર તાલુકામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે.