અરબી સમુદ્રમાં થી સર્જાયેલા વાયુ વાવઝોડાએ માત્ર દરિયા કિનારાને જ નહીં પણ ગીરને પણ ધમરોળી નાખ્યું છે. વાયુ વાવાઝોડાને કારણે ગીર પંથકના ખેડૂતોને ખૂબ જ ભયંકર નુકશાન થયુ છે. ભીમ અગિયારસના એક દિવસ પહેલા આવેલા વાવઝોડાએ ગીર પંથકમાં કેસર કેરી પકવતા ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે.
ચાલુ વરસાદમાં મજૂરો દ્વારા પોતાના પાકને બચાવવા ખેડૂતો મહેનત કરી રહ્યા છે. ગીરની શાન ગણાતી કેસર કેરી માર્કેટમાં પહોંચતા પહેલા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. હવે માર્કેટમાં આ કેસર કેરી ખરીદવા કોઈ તૈયાર નહીં થાય.
જે કેરીનો ભાવ 1200થી 1500 રૂપિયા હતો તે વરસાદ બાદ અચાનક ધૂળની કિંમતની બની ગઈ છે. હવે આ કેરીને કોઈ 100 રૂપિયાના ભાવે પણ ખરીદવા માટે તૈયાર નથી.
ખેડૂતોના કહેવા પ્રમાણે કેસર કેરના ઝાડ પર 30 ટકાથી વધુ કેરી બાકી હતી. ત્યારે માર્કેટમાં જવાની સંપૂર્ણ તૈયારી હતી. પણ આસમાની આફતે ખેડૂતોની તમામ આશા પર પાણી ફરી વળ્યું અને વર્ષમાં માત્ર એક જ વાર આવતી મોસમ પણ ખેડૂતોને ખોટ કરાવતી ગઈ.
બરાબર પાક તૈયાર થયો અને વાયુ નામની અફતે કેસર કેરીના ખેડૂતોને રોવડાવ્યા છે. થોડા દિવસો પહેલા કેસર કેરી 500થી 700 રૂપિયા વેચાતી હતી તેમને આજે ખેડૂતો 100થી 150 રૂપિયામાં વેચવા મજબૂર બન્યા છે.