વાયુ વાવાઝોડાની અસરને લઇને રાહત કમિશ્નર મનોજ કોઠારીએ પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપી હતી. રાહત કમિશ્નર મનોજ કોઠારીએ જણાવ્યું હતું કહ્યું કે, વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. અને વાવાઝોડામાં કોઇ મોટું નુકસાન થયું નથી. જો નુકસાન હશે તો તેનો સરવે કરી અને સહાય પણ ચૂકવવામાં આવશે. ત્યારે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. સૌથી વધુ નુકસાન ખેડૂતો અને માછીમારોને થયું છે.
વાયુ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળી ગયુ છે. પરંતુ તેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. તો વાવાઝોડાને કારણે વિજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. વિજપોલ ધરાશાયી થતા ગામડાઓમાં છેલ્લા 4 દિવસથી વિજળી ગુલ થઈ ગઈ છે. જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે કેરી અને કેળના પાકને પણ ભારે નુકસાન થયું છે. હજારો કેળના વૃક્ષો નમી પડ્યા છે અને નાળિયેરી પણ જમીનદોસ્ત થઈ ગઈ છે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મકાનો ધરાશાયી થયા છે. તો કેટલાક મકાનોમાં નુકસાન થયું છે. તો શહેરોના માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતા શહેરીજનો પરેશાન થયા છે. જૂનાગઢના અનેક વિસ્તારોમાં વૃક્ષો પડવાની ઘટના સામે આવી છે. જેમાં જિલ્લાના નરસિંહ મહેતા તળાવ પાસે વૃક્ષ પડતા રસ્તો બ્લોક થયો હતો. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
તો બીજી તરફ વાવાઝોડાની અસરને પગલે ગીર સોમનાથના ઉંબા અને છાત્રોડા સહિતના ગામોમાં નારિયેળીને પણ ભારે નુકશાન થયુ છે. પરંતુ વહીવટી તંત્ર 2 દિવસ થવા છતાં હજુ પણ પોતાની ફરજથી મોકૂફ હોવાનું સામે આવ્યું છે. કચ્છના ખેડૂતોને પણ નુકસાન થયું છે.
પોરબંદરઃ ત્રણ દિવસમાં લાખો રૂપિયાનું નુકસાન
પોરબંદર દરિયાકાંઠે વાયુ વાવાઝોડાની અસર ધીમી પડી છે. જો કે વાવાઝોડાના કારણે પોરબંદરની ચોપાટી પર ત્રણ દિવસોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. દરિયાકાંઠે રખાયેલી બોટ પણ તેજ પવનના કારણે રસ્તા પર આવી ગઇ છે અને બ્લોક તૂટી ગયા છે. અને હાલ પોરબંદર ચોપાટી પર ચાલવા માટેનો પણ રસ્તો બંધ છે. ઉપરાંત સ્વિમિંગ માટે રખાયેલા ચેન્જિંગ રૂમ પણ તૂટી પડ્યા છે.
પોરબંદરઃ વાવાઝોડી અસર થતા 20 જેટલી બોટ પાણીમાં તણાઈ
પોરબંદરના દરિયામાં 20 જેટલી બોટ તણાઈ છે. બોટ તણાતા માછીમારોને નુકસાન થયુ છે. દરિયાનુ પાણી બહાર આવતા દિવાલનું ધોવાણ થતા કાંઠે પડેલી બોટને પણ નુકસાન થયુ છે. નુકસાન થતા માછીમારોએ સરકાર પાસે મદદની માગ કરી છે.
ગીરસોમનાથઃ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા
ગીર સોમનાથ ભારે વરસાદને પગલે ખેતરોમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોના નારયેળી, કેરી, કેળ અને નાગરવેલના બગીચાઓને મોટું નુકશાન થયું છે. વાવઝોડાએ ગીર પંથકમાં કેસર કેરી પકવતા ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. જે કેરીનો ભાવ 1200થી 1500 રૂપિયા હતો તે વરસાદ બાદ અચાનક ધૂળની કિંમતની બની ગઈ છે. હવે આ કેરીને કોઈ 100 રૂપિયાના ભાવે પણ ખરીદવા માટે તૈયાર નથી.
તો વરસાદના પગલે ખેતરોની સાથે ગામોમાં પાણી પણ ભરાયા છે. ભારે વરસાદ આવતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગામોમાં પાણી ભરાતા લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે. લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે.
20 જેટલા વીજપોલ ધરાશાયીઃ વીજ પુરવઠો ઠપ
પ્રાચીથી વેરાવળ તરફનાં રસ્તામાં 20 જેટલા પોલ ધરાશાયી થયા છે. વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે. જો કે, રોડ પર તૂટેલા વીજપોલને પગલે તંત્રએ કામગીરી હાથ ધરી છે.
અંબાજી મંદિર પાસે હેલિપેડ પાસે દુકાનોના છાપરા ઊડ્યા
ગિરનાર પર્વત પર પણ વાવાઝોડાની અસર થઇ છે. ત્યારે ભારે પવનના કારણે અંબાજી મંદિર પાસે દુકાનોના છાપરા ઉડી ગયા. ગિરનાર પર્વત પર તેજ પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે દુકાનોના માલ-સામાનને પણ નુકસાન થયું છે.
જૂનાગઢમાં મુખ્ય રસ્તાઓ પર વક્ષો પડવાની ઘટનાઓ
સૌરાષ્ટ્રમાં વરસાદ અને પવનની પ્રચંડ તાકાતથી વૃક્ષો ધરાશાયી થયા છે. શહેરોના માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતા શહેરીજનો પરેશાન થયા છે. જૂનાગઢના અનેક વિસ્તારોમાં વૃક્ષો પડવાની ઘટના સામે આવી છે. જિલ્લાના નરસિંહ મહેતા તળાવ પાસે વૃક્ષ પડતા રસ્તો બ્લોક થયો છે. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ગીરનાર પર્વત પર ધોધમાર વરસાદ, દુકાનોમાં નુકસાન
ગીરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ વરસ્યો. વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. પર્વત પર વરસાદ આવતા દુકાનોમાં પાણી ઘુસ્યા છે. જેના કારણે દુકાન માલિકોને નુકસાન થયું છે.
તાલાળા ચોકડી પાસે શોરૂમના પતરા ઉડ્યો
વેરાવળમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વેરાવળ જૂનાગઢ હાઈવે પર ભારે પવન ફૂંકાતા શોરૂમના પતરા ઉડ્યા હતા. તલાલા ચોકડી પાસે આવેલા શોરૂમના પતરા ઉડ્યા હતા. દીવાલ પણ ધરાશાયી થઈ છે.
દ્વારકામાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી
ભારે પવનને કારણે દ્વારકામાં વૃક્ષ ઘરાશાયી થઈ ગયા હતા. ગોમતીઘાટ તરફ જતા રસ્તા પર વૃક્ષ ઘરાશાયી થઈ ગયુ હતુ. મળતી માહિતી મુજબ દ્વારકામાં વૃક્ષ ધરાશાયી થવાની આજે બીજી ઘટના બની હતી.
રાજકોટમાં ST બસ હજુ પણ બંધ
રાજકોટમાં એસટી વિભાગ રૂટ હજૂ પણ બંધ છે. વાયુ વાવાઝોને લઈને બુધવાર મધરાતથી દરિયાઈ વિસ્તારની તમામ બસના રૂટ બંઘ કરી દેવામા આવ્યા હતા. જે આજ રાત સુધી બંઘ રહેશે. તો ST વિભાગને એક દિવસ બંઘ રહેતા સરકારને 8 લાખનું નુકશાન થયું છે. પોરબંદર, સોમનાથ, દીવ અને માંડવી તરફ જતી બસને બંધ કરવામા આવી હતી. જેને લઇને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.