વસ્ત્રાપુર લેકમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલી નાખવાના પોલીસને સફળતા સાંપડી છે. જેમાં કેસનો ભેદ ઉકેલી પિઝાની હોટલમાં કામ કરતા નેપાળી યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે.
‘પીને કા પાની નહીં દયા તો પાવડે સે કાટ દિયા’
પોલીસે ગણતરીના કલાકોમાં નેપાળી શખ્સની ધરપકડ કરી
‘પીને કા પાની નહીં દીયા તો પાવડે સે કાટ દિયા'આ શબ્દો છે એ સાઈકોકીલરના જે હાલ વસ્ત્રાપુર પોલીસના સકંજામાં આવી ગયો છે. મંગળવારની સમી સાંજે યુવકની પાવડાના ઘા ઝીંકીને ઘાતકી હત્યા થઇ હતી, જેમાં વસ્ત્રાપુર પોલીસે ગણતરીના કલાકોમાં નેપાળી શખ્સની ધરપકડ કરી લીધી છે. મોડી રાતના ત્રણ વાગ્યા સુધી નેપાળી યુવકની મેરેથોન પૂછપરછમાં તે સાઈકો હોવાનું સામે આવ્યું છે. તેણે કોઇ પણ કારણ વગર યુવકની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ બિનધાસ્ત પીઝાની દુકાનમાં નોકરી કરવા માટે આવી ગયો હતો.
શહેરના વસ્ત્રાપુર લેકમાં મંગળવારે સાંજે લાલાભાઇ સંગાડા નામના યુવકની ઘાતકી હત્યા થઇ હતી, જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં સફળતા મળી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ હત્યાનો ભેદ ઉકેલી શકી છે. મોડી રાતે પોલીસે પિઝાની હોટલમાં નોકરી કરતા એક નેપાળી યુવકની ધરપકડ કરી છે, જેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. નેપાળી યુવક ઘણા સમયથી પિઝાની હોટલમાં નોકરી કરતો હતો અને સાઇકો હોય તેવું પોલીસને લાગી રહ્યું છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ગઇ કાલે નેપાળી યુવક વસ્ત્રાપુર લેકમાં આંટો મારવા માટે ગયો હતો, જ્યાં ખાટલા પર લાલા સંગાડાને સૂતો જોયો હતો. યુવકે લાલા સંગાડા પાસે પીવાનું પાણી માગ્યું હતું, જોકે તેણે નહીં આપતાં યુવક ઉશ્કેરાયો હતો અને સાઇડમાં રહેલો પાવડો લઇને ફરી વળ્યો હતો.
યુવક એટલી હદે ગુસ્સામાં હતો કે તેણે લાલા સંગાડાના માથા તેમજ ગળાના ભાગે ઉપરાછાપરી દસ કરતાં વધુ પાવડાના ઘા મારી દીધા હતા. લાલા સંગાડાએ ઘટનાસ્થળ પર દમ તોડી દીધો હતો. ત્યાર બાદ યુવક હસતો હસતો બહાર નીકળી ગયો હતો. યુવકે લોહીથી ખરડાયેલા પાવડાને વસ્ત્રાપુર લેકના ગેટ પાસે મૂકી દીધો હતો. ત્યાર બાદ બિનધાસ્ત કંઇ બન્યું જ ન હોય તે રીતે પીઝાની હોટલમાં જઇને નોકરી પર લાગી ગયો હતો. પોલીસે મોડી રાતે યુવકની ધરપકડ કરી લીધી હતી અને તેની મેરેથોન પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તે સાઈકો હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે તપાસ તેજ કરી છે.
લાલા સંગાડાની હત્યા કર્યા બાદ યુવક સીધો પોતાની હોટલમાં પહોંચી ગયો હતો અને કપડાં બદલી નાખ્યાં હતાં. પોલીસ ઘટનાસ્થળે આવી ત્યારે યુવક હોટલમાં નોકરી કરતો હતો, પરંતુ થોડા સમય બાદ તે વસ્ત્રાપુર લેક પર આંટા મારવા લાગ્યો હતો, જેથી પોલીસને તેની હરકતો શંકાસ્પદ લાગી હતી. પોલીસે એક પછી એક વિવિધ જગ્યાના સીસીટીવી ફૂટેજ મેળવવાના શરૂ કરી દીધા હતા. છેલ્લે પોલીસે બેન્કના સીસીટીવી ફૂટેજ મેળવી લીધા હતા, જેમાં યુવક િપઝાની દુકાનમાં જતો જોવા મળ્યો હતો. લાલાની હત્યાના તાર િપઝાની દુકાન સુધી મળી આવતાં અંતે પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
મોડી રાતના ત્રણ વાગ્યા સુધી પૂછપરછ ચાલી પણ હત્યારો કંઈ જ ના બોલ્યો
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર લાલા સંગાડાની હત્યામાં ઝડપાયેલા આરોપીની રાતે ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદ પોલીસે રાતના ત્રણ વાગ્યા સુધી તેમની આગવી સ્ટાઇલથી પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ એક જ રટણ કર્યું હતું કે ‘પીને કા પાની નહીં િદયા તો પાવડે સે કાટ િદયા.’ પોલીસે આરોપી યુવક પાસે કબૂલાત કરાવવા માટે બહુ મથામણ કરી, પરંતુ તે કંઇ બોલ્યો નહીં અને ચૂપચાપ સાંભળતો રહ્યો હતો.