વિજય રૂપાણી સરકારમાં અંજાર ભાજપના ધારાસભ્ય વાસણ આહીરને સ્થાન મળતા તેમણે પણ આજે શપથ લીધા હતા. ત્યારે તેમના ગામમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગને કારણે વાસણ આહીરના ગામ રતનાલમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ સાથે જ વાસણ આહીરના સમર્થકોએ આતશબાજી કરીને મિઠાઈનું વિતરણ પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો બહુમતિ સાથે વિજય થતાં આજે છઠ્ઠીવાર સરકારની રચના કરવામાં આવી હતી. 1995 થી સક્રિય રાજકારણમાં પ્રવેશનાર વાસણ આહીર 3 વખત ભુજના અને 1 વખત કચ્છના ધારાસભ્ય રહી ચુક્યા છે.
ગાંધીનગર ખાતે યોજાયેલ ભવ્ય સમારંભમાં વિજય રૂપાણી સહિત અનેક ધારાસભ્યોએ મંત્રી બનવાનાં શપથ લીધા હતા. આ સમારંભમાં કચ્છ ભાજપના દિગ્ગજ નેતા વાસણ આહીરને પણ રાજ્યકક્ષાના મંત્રીમંડળમાં સ્થાન મળતા તેમના સમર્થકોમાં ગેલમાં આવી ગયા હતા.
અત્રે જણાવી દઇએ કે ભુતકાળમાં પણ ગુજરાત ભાજપનો મોટા હોદ્દો સંભાળી ચુકેલા વાસણ આહીરે કોંગ્રેસના ઉમેદવારને ભારે બહુમતિ સાથે માત આપીને અંજાર બેઠક ભાજપને નામે કરી હતી. વિજય રૂપાણીના મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર વાસણ આહીરને નવી સરકારમાં ક્યું ખાતું મળે છે તે હવે આવનારો સમય જ કહેશે.