રાજકીય ગલીઓમાંથી પીએમ નરેન્દ્ર મોદીના મનમાં ફરી સ્થાન મેળવવા માટે વરુણ ગાંધી દરેક પ્રયાસો કરી રહ્યા છે. વરુણ ગાંધી તેમના પિતરાઈ ભાઈ-બહેન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ટીકાઓ કરવાથી દુર રહે છે. પરંતુ તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, ''રાહુલ મોદી સાથેના મુકાબલામાં જીતી નહીં શકે'' સાથે જ કહ્યું કે, ''દાયકાઓ સુધી રાહુલ ગાંધી પ્રધાનમંત્રી નહીં બની શકે. ''
વરુણેને જ્યારે પૂછવામાં આવ્યુ કે, રાહુલ ગાંધી પીએમ ઉમેદવાર માટે યોગ્ય છે, તો તેમણે કહ્યુ કે, હું કોઇ જ્યોતિષ નથી, પરંતુ મને લાગે છે આગામી 10-29 વર્ષ સુધી આ સંભવ નથી. સાથે જ કહ્યું કે, ''આટલા મોટા પદ માટે મતદાતાઓ રાહુલની પસંદગી નહી કરે. ''
ઉત્તર પ્રદેશની પીલીભીત લોકસભા સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર વરુણ ગાંધી છે. તેમણે કહ્યુ કે, ''દેશે મન મનાવી લીધુ છે અને તેઓ માત્ર મોદીજીને વોટ જ નહી પરંતુ લોહી આપવા માટે પણ તૈયાર છે. '' વરુણે રાહુલ અને પ્રિયંકા સાથેના સંબંધ અંગે કહ્યું કે, મારી માતાને કારણે તેમની સાથે મારો સંબંધ છે, ઘણી કપરી પરિસ્થિતીઓમાં મારી માતાએ મને મોટો કર્યો છે. મારી માતા જ મારો પરિવાર છે.
વરુણના અનુસાર, ''રાજનીતિ, વર્તમાન અને ભવિષ્ય બંને પર આધારિત છે. તમારી ક્ષમતા અને બીજા લોકો સાથે સંબંધ બનાવવાની ક્ષમતા પર જ રાજકારણ ટકેલું છે.'' તેમણે કહ્યું કે , ''એક કાર્યકર્તા તરીકે મને લાગે છે કે ભાજપના ગુણો અને કાર્યોને જોઈને જ લોકો તેને મત આપે છે. ''
કોંગ્રેસમાં જોડાવા અંગે વરુણે કહ્યું કે, ભગવા પાર્ટી પ્રત્યે નિષ્ઠાવા સોગંદ લીધા છે. જો હુ ભાજપ છોડીશ તો તે મારા રાજકારણનો છેલ્લો દિવસ હશે, આ ઉપરાંત કહ્યું કે ભાજપ સાથે હું ઊંડાણપૂર્વક જોડાયેલો છું.
મહત્વનું છે કે, 2014ના ચૂંટણી અભિયાનમાં ભાજપના પાર્ટી મહાસચિવ તરીકે વરુણ ગાંધીએ કોલકાતામાં મોદીની રેલીને સામાન્ય ગણાવી હતી અને તે જ વર્ષે તેમણે અમેઠીમાં વિકાસ કાર્યો અંગે રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. ત્યારબાદ મોદીના પ્રધાનમંત્રી બનતાની સાથે વરુણ ગાંધી પાસેથી પાર્ટીની તમામ જવાબદારીઓ છીનવી લેવામાં આવી હતી.