હિન્દુ પરંપરામાં એકાદશીને પુણ્ય કાર્ય અને ભક્તિ માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૈશાખ માસની કૃષ્ણ પક્ષની તિથિને આવનારી એકાદશીને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ એકાદશી 30 એપ્રિલના રોજ મંગળવારના રોજ પડી રહી છે. પુરાણોમાં આ એકાદહીમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યુ છે.
યધિષ્ઠિરે પૂછયું: “હે ભગવન્ ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે? કૃપા કરીને એનો મહિમા બતાવો.”શ્રી કૃષ્ણ બોલ્યા: “રાજન! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં “વરુથિની” એકાદશી આવે છે તે ઇન્દ્ર લોક અને પરલોકમાં સૌભાગ્ય પ્રદાન કરનારી છે.” વરુથિનીનાં વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ દસ હજાર વરસ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે. એ જ ફળ આ વરુથિની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે.
નૃપશ્રેષ્ઠ ! ઘોડાનાં દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિ દાન એના કરતાં પણ મોટું દાન છે. ભૂમિ દાન કરતાં પણ વધારે મહત્વ તલ દાનનું છે. તલ દાનથી વધારે સુવર્ણ દાન અને સુવર્ણ દાનથી વધારે અન્ન દાન છે. કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે. વિદ્વાન પુરુષોએ કન્યા દાનને પણ આ દાન સમાન જ બતાવ્યું છે. ગાયનું દાન કન્યા દાન તુલ્ય જ છે. આ સાક્ષાત ભગવાનનું કથન છે. આ બધાં દાનોથી પણ મોટું વિદ્યાદાન છે. મનુષ્યો વરુથિની એકાદશીનું વ્રત કરીને વિદ્યા દાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઇને કન્યા દાનનાં ધનથી આજીવિકા ચલાવે છે. તેઓ પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે. આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યા ધનથી બચવું જોઇએ. એને પોતાનાં કામમાં ન લેવું જોઇએ.
જેઓ પોતાની શકિત પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમનાં પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. વરુથિની એકાદશી કરીને પણ મનુષ્યો એનાં જેવું ફળ પ્રાપ્ત કરી શકે છે. રાજન ! રાત્રે જાગરણ કરીને જે ભગવાન કાનુડાનું પૂજન કરે છે, એ બધાં પાપોથી મુકત થઇને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આથી પાપભીરુ મનુષ્યોને પૂર્ણ પ્રયત્ન કરીને આ વ્રત કરવું જોઇએ. યમરાજથી ડરનારા મનુષ્યે વરુથિનીનું વ્રત કરવું. રાજન ! આના વાચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. તથા મુનષ્ય બધાં પાપોથી મુકત થઇને સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે.•