ડર કે કોઈ આડઅસરને કારણે લોકો કોરોનાની રસી લેવાની આનાકાની કરી રહ્યાં છે ત્યારે લોક માનસમાંથી આ ડર દૂર કરવા માટે કેન્દ્ર સરકારે એક કામ કરવું પડ્યું છે.
ડો.હર્ષવર્ધને ખાસ પોસ્ટર બહાર પાડીને રસી સુરક્ષિત હોવાનું જણાવ્યું
લોકોને આ પોસ્ટરનો ડહાપણપૂર્વક ઉપયોગ કરવાની કરી અપીલ
રસી સુરક્ષિત અને અસરકારક છે તેને લેવામાં કોઈ પણ જાતનો વાંધો નથીઃ હર્ષવર્ધન
ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને આરોગ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ એક ખાસ પોસ્ટર બહાર પાડીને કોરોનાની રસી સુરક્ષિત હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે. કેન્દ્રીય પ્રધાને લોકોને આ પોસ્ટરનો ડહાપણપૂર્વક ઉપયોગ કરવાની અને રસીને સામૂહિક ઝૂંબેશ બનાવવાની અપીલ કરી છે.
આ પ્રસંગે બોલતા ડો.હર્ષવર્ધને જણાવ્યું કે રસી કોરોનાની કમર તોડી નાખનાર છેલ્લો ખીલો છે. તેમણે કહ્યું કે દૂર્ભાગ્યે કેટલાક લોકો રાજકીય સ્વાર્થ માટે કોરોનાની રસી અંગે ભ્રમણા ફેલાવી રહ્યાં છે. અને આને કારણે જ લોકો રસી લેવાની આનાકાની કરી રહ્યાં છે. સ્પસ્ટ સંદેશ છે કે રસી સુરક્ષિત અને અસરકારક છે તેને લેવામાં કોઈ પણ જાતનો વાંધો નથી. લોકોએ ખચકાટ વિના રસી લેવી જોઈએ અને બીજાને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ.
કોરોના રસીનો લોકોએ કોઈ ડર રાખવાની જરૃર નથીઃ હર્ષવર્ધન
કોઈ પણ રસીની અમુક આડઅસર થવી સ્વાભાવિક છે અને કોરોનાની રસીની પણ કેટલીક સામાન્ય અસર જેવી કે તાવ વગેરે. પરંતુ લોકોએ કોઈ ડર રાખવાની જરૃર નથી. રસીકરણ ઝૂંબેશ હેલ્થ સેક્ટરના એક પ્રતિબિંબ તરીકે કામ કરી રહ્યું છે. ભૂતકાળમાં પણ ભારતે શીતળા અને પોલિયો જેવા ઘાતક રોગનો સફળતાપૂર્વક સફાયો કરી નાખવાની સફળતા હાંસલ કરી રાખી હતી. મને લાગે છે કે બરાબર આવી જ રીતે આપણે કોરોનાની કમર તોડી નાખવા માટે ઘાતક ફટકો આપી રહ્યાં છીએ.