વરાછા બેઠકને પાટીદાર સમાજનો ગઢ માનવામાં આવે છે એવામાં જરાતની વરાછા બેઠક પર આપ ના નેતા અલ્પેશ કથીરિયાની હાર થઈ છે.
ગુજરાતની વરાછા બેઠક પર અલ્પેશ કથીરિયાની હાર થઈ છે
પાટીદાર સમાજનો ગઢ માનવામાં આવે છે વરાછા બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકોમાં કુલ 788 ઉમેદવારો મેદાનમાં હતા. ગુજરાતની વરાછા બેઠક આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથીરિયાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર એમની હાર થઈ છે અને એ બેઠક પર પણ કમળ ખીલ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકોમાં કુલ 788 ઉમેદવારો મેદાનમાં હતા, જ્યારે બીજા તબક્કામાં કુલ 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાનમાં હતા. આમ કુલ 182 બેઠક પર 1621 ઉમેદવારો વચ્ચે બરાબરનો જંગ જામ્યો હતો. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. આ દરમિયાન સુરતની વરાછા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી કારણ કે આ વખતે અહીં આમ આદમી પાર્ટીએ એવા ઉમેદવારને ટિકિટ આપી હતી કે જેઓ પાટીદાર આંદોલનમાં એક સમયે હાર્દિક પટેલના સાથી હતા. આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથીરિયાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તો બીજી તરફ ભાજપે પોતાના જુના જોગી અને ગત ચૂંટણી જીતેલા કુમાર કાનાણીને રિપીટ કર્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી પ્રફુલ તોગડિયાને ટિકિટ આપવામાં આવી હતી.
પાટીદાર સમાજનો ગઢ માનવામાં આવે છે વરાછા બેઠક
આ બેઠક પર પાટીદાર ફેક્ટર ચાલે છે. તેથી જ પાટીદાર આંદોલનની અસર સૌથી વધારે આ બેઠક પર જોવા મળી હતી. વરાછા બેઠકને પાટીદાર સમાજનો ગઢ માનવામાં આવે છે. પાટીદારોનું વર્ચસ્વ ધરાવતા વિસ્તારમાં 1.40 લાખ મતદારો તો ફક્ત પાટીદારો જ છે. આ માટે આ વિધાનસભા કોંગ્રેસ અને ભાજપ બંને માટે મહત્વની બની ગઈ હતી. તેમાં પણ આમ આદમી પાર્ટી આવ્યા બાદ આ બેઠક પર રાજકીય રસાકસી થોડી વધી હતી.
PM મોદીની યોજાઈ હતી સભા
આ વખતે આ બેઠક પર ચૂંટણી પ્રચારની કમાન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 27 નવેમ્બરે સુરત આવ્યા હતા. પીએમ મોદીનો એરપોર્ટથી મોટા વરાછા રૂટ પર રોડ શો યોજાયો હતો. સાથે પાટીદારોના ગઢ સમાન મોટા વરાછામાં જાહેર સભા યોજાઈ હતી.
કેટલા છે મતદારો
- કુલ મતદારો - 1,97,962
- પુરૂષ મતદારો - 1,12,305
- મહિલા મતદારો - 85851
ગત વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા કુમાર કાનાણી
વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં સુરતની વરાછા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ હતી. આ વિસ્તારમાં આંદોલનને લગતા વિરોધ પ્રદર્શન પણ થયા હતા. ભાજપને પ્રચારમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતા ભાજપે આ બેઠકને જાળવી રાખી હતી. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીની જીત થઈ હતી. તો વર્ષ 2012માં પણ કુમાર કાનાણી (કિશોર કાનાણી) જીત્યા હતા. આ પહેલા 1998થી 2007 સુધી આ બેઠક કોંગ્રેસના પરેશભાઇ વસાવાના કબજામાં હતી.