વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ સામે ઉઠાવ્યા સવાલ છે. સાથે તેમણે વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને સમયસર લોન અપવાની માગ કરી છે.
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને સમયસર લોન અપવાની માગ
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ સામે ઉઠાવ્યા સવાલ
સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કનાણીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ વિદેશ ભણવા જતાં વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો છે. કુમાર કનાણીએ આ પત્રમાં વિદેશ અભ્યાસની લોન સરળ કરવા માટે રજૂઆત કરી છે.
કુમાર કાનાણીએ પત્ર લખીને કરી રજૂઆત
ધારાસભ્ય કાનાણીએ પત્રમાં લખ્યું છે કે, 'ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામન શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે, આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે, પરંતુ તેમને વિઝા મળ્યા બાદ એડમિશન પણ મળી જાય છે અને તેઓને વિદેશ જવાનું થઈ જાય ત્યારે પણ આ લોન મળતી નથી, અને વિદેશ ગયા પછી 6-6 મહિના સુધી લોન મળતી નથી.'
વિદ્યાર્થીઓનું ભાવિ મુકાય છે જોખમમાંઃ કુમાર કાનાણી
પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, 'લાંબા સમય સુધી લોન ન મળવાને કારણે વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમનું ભાવિ જોખમમાં મુકાય છે. તો આવી અરજી થયેલ વિદ્યાર્થીઓની લોન તાત્કાલિક મંજૂર થાય તે બાબતે મારી આપને વિનંતી છે.'
વિદ્યાર્થીઓને આપવામાં આવે છે વિદેશ અભ્યાસ લોન
વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. 15 લાખ સુધીની વિદેશ અભ્યાસ લોન આપવામા આવે છે. જેમાં વાર્ષિક 4 ટકા લેખે સાદુ વ્યાજ લાગે છે. જે પરિવારની વાર્ષિક આવક રૂ. 6 લાખ કે તેનાથી ઓછી હોય તેઓને આ લોન આપવામાં આવે છે.
લોનની પરત ચુકવણી કેવી રીતે કરી શકાય છે?
5 લાખ રૂપિયા સુધીની લોનના કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યાના 1 વર્ષ બાદ 5 વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે. તો 5 લાખ કરતા વધારે લોનના કિસ્સામાં અભ્યાસ પૂર્ણ કર્યાના 1 વર્ષ બાદ 6 વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે. લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકે છે.