પરપ્રાંતિય શ્રમિકો માટે સરકાર દ્વારા વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગુજરાતથી પણ કેટલીક ટ્રેન ઉત્તરપ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં શ્રમિકોને લઇને જઇ રહી છે. તેવામાં ઉત્તરપ્રદેશ જનારી ટ્રેન કોઇ કારણસર રદ્દ થતા દમણમાં શ્રમિકો ઉશ્કેરાયા હોવાની ઘટના સામે આવી છે. આ શ્રમિકોએ ઉશ્કેરાઇને તંત્રએ અપાયેલા ફૂડ પેકેડ રસ્તા પર ફેંકી દીધા હતા અને પોલીસ પર પણ હુમલો કર્યો હતો.
શ્રમિકોએ તંત્ર દ્વારા અપાયેલ ફૂડ પેકેટ રસ્તા પર ફેંક્યા
વિફરેલા ટોળાએ પોલીસ પર પણ કર્યો હુમલો
ઓદ્યોગિક નગરી ગણાતા વાપીમાં સૌથી વધુ પરપ્રાંતિયોની વસ્તી છે. જોકે, લોકડાઉનમાં તેઓ દ્વારા વતનમાં જવા માટે તેઓ માંગ કરી રહ્યા હતા. જેને પગલે તંત્ર દ્વારા વાપી સ્ટેશનેથી શ્રમિકો માટે ઉત્તરપ્રદેશ માટે ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે આ ટ્રેન રદ્દ થતા શ્રમિકોની ધીરજ ખુટી અને તેઓ ભડક્યા હતા.
સંઘ પ્રદેશ દમણથી વાપી રેલવે સ્ટેશન આ શ્રમિકોને લઇ જવાના હતા. જોકે વાપીથી ઉત્તરપ્રદેશ જવાની ટ્રેન રદ્દ થવાની જાહેરાત થતા શ્રમિકોએ ઉશ્કેરાઇને તંત્ર દ્વારા અપાયેલા ફૂડ પેકેડને રસ્તા પર ફેંકી દીધા હતા. આ વિફરેલા ટોળાએ પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. આ ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠી ચાર્જ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાંથી ગુરૂવારે 14 શ્રમિક ટ્રેનો દોડાવાઇ હતી. જેમાં બેસીને 22 હજાર જેટલા શ્રમિકો તેમના વતન જવા રવાના થયા હતા. 7 ટ્રેનો બિહાર માટે દોડાવાઇ હતી. જેમાં છપરા, સીતામઢી, મુઝફ્ફરપુર, પટના, કટીહાર તરફ રવાના કરાઇ હતી. જ્યારે ઝોરખંડમાં રાંચી અને ગીઓગર માટે 2 ટ્રેન દોડી હતી. છત્તીસગઢમાં ચંપા અને બિલાસપુર માટે તેમજ ઉત્તરપ્રદેશમાં ગોરખપુર, વારાણસી માટે ટ્રેનો દોડાવાઇ હતી.