રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા આક્ષેપો પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઇ જોડતોડની રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ રાજીનામા આપી કેસરિયા છાવણી સાથે સંપર્કમાં છે. જોકે બાકીના ધારાસભ્યોને પણ ભાજપ દ્વારા તોડવામાં આવી રહ્યા હોવાના કોંગ્રેસ દ્વારા સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય તેમને કરોડો રૂપિયાની ઓફર થઇ હોવાના આક્ષેપો કરી ચૂક્યા છે. ત્યારે આજે ફરી વધુ એક કોંગ્રેસી ધારાસભ્ય તેમને કરોડો રૂપિયાની ઓફર થઇ હોવાના સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. ત્યારે શું કોંગ્રેસની બાજી બગાડશે અનંત પટેલ?
મને પણ ભાજપમાં જોડાવા ઓફર મળી હતીઃ અનંત પટેલ
કરોડોની રોકડ રકમની ઓફર થઇ હોવાનો અનંત પટેલનો આક્ષેપ
વિસ્તારમાં વિકાસના કામને લઇ ભાજપમાં જોડાવાની ઓફર મળી
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ભાજપે ઓફર કરી હોવાનો સનસનીખેજ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા કરોડોની રોકડ રકમની ઓફર થઇ હોવાનો અનંત પટેલે આક્ષેપ કર્યો છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આજે મીડિયા સામે તેમને મોટી ઓફર કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યો હતો. નવસારી જિલ્લા ભાજપના કેટલાક અગ્રણીઓના મારફતે અનંત પટેલને કરોડો રૂપિયાની મોટી રોકડ રકમની ઓફર સાથે આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામોને ઝડપી બનાવવાના બહાને ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ તુષાર ચૌધરીએ પણ કહ્યું કે ભાજપ દ્વારા તમામ લોકોનો સંપર્ક કરવામાં આવે છે. અન્ય ધારાસભ્ય સાથે હોવાની વાત કરવામાં આવે છે.
કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને વલસાડના એક ખાનગી રિસોર્ટ રાખવામાં આવ્યા
આથ કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોને તૂટતા બચાવવા ખાનગી જગ્યાએ કે રિસોર્ટ સહિત વિવિધ જગ્યાએ રાખવામાં આવ્યા છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને વલસાડના એક ખાનગી રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. આ પાંચ ધારાસભ્યોમાં વ્યારાના ધારાસભ્ય પુનજી ગામીત, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, નંદોદના ધારાસભ્ય પી.ડી વસાવા અને દાહોદના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાનો સમાવેશ થાય છે. આમ અત્યારે વલસાડના ખાનગી રિસોર્ટમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. ત્યારે હજુ પણ પાંચ ધારાસભ્યોને વલસાડમાં લાવવામાં આવશે. આ અંગે કોંગ્રેસ અગ્રણીઓ જણાવ્યું હતું.
કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા યોજાઇ હતી પ્રેસ કોન્ફરન્સ
આજે વલસાડના કામગીરી રિસોર્ટમાં રાખવામાં આવેલ આ તમામ પાંચેય કોંગ્રેસી ધારાસભ્યની હાજરીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને ગૌરવ પંડ્યા જેવા કોંગ્રેસ અગ્રણીઓ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા માટે ભાજપ દ્વારા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી હોવાના અને વિવિધ પ્રલોભનો દ્વારા ધારાસભ્યોને તોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આથી ધારાસભ્યોને તૂટતા અટકાવવા અને આવા બનાવો અટકાવવા માટે ધારાસભ્યોને એકસાથે રાખવામાં આવ્યા છે. તેવું કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું હતું. આમ રિસોર્ટમાં રાખવામાં આવેલા તમામ સભ્યોને સાથે રાખી કોંગ્રેસના અગ્રણીઓએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્યો અને કોંગ્રેસના અગ્રણીઓએ ભાજપ પર આકરા પ્રહાર કરી ગંભીર આક્ષેપો કર્યા હતા.