મોદી સરકારે મા વૈષ્ણોદેવીનાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓને નવી ભેટ આપી છે. હવે દિલ્હીથી કટરા સુધી ભારતની સૌથી આધુુનિક ટ્રેન ‘વંદે ભારત’ ચલાવવામાં આવશે. આ ટ્રેન માત્ર આઠ કલાકમાં તેની સફર પૂર્ણ કરશે. જ્યારે અન્ય ટ્રેન ૧૧ થી ૧ર કલાક લે છે. આ ટ્રેનથી ચાર કલાકના સમયની બચત થશે.
‘ટી-૧૮’ના જાણીતા નામથી ‘વંદે ભારત’ (Vande Bharat) ની ટ્રાયલ ખૂબ જ જલદી આ રૂટ પર શરૂ થશે. ભારતીય રેલવેએ તેની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. દિલ્હીથી કટરા સ્ટેશન સુધી ‘વંદે ભારત’ની આ રેલ સફરમાં ત્રણ મહત્ત્વનાં સ્ટેશન પર રોકાવા માટે સ્ટોપેજ અપાયાં છે.
‘વંદે ભારત’ નવી દિલ્હીથી ચાલ્યા બાદ અંબાલા જંક્શન, લુધિયાણા, જમ્મુ-તાવીથી થઇ કટરા પહોંચશે. રેલવે મંત્રાલયના પ્લાન મુજબ ‘વંદે ભારત’ સવારના ૬-૦૦ વાગ્યે કટરા સ્ટેશન માટે રવાના થશે. ત્યારબાદ સવારના ૮-૧૦ વાગ્યે અંબાલા પહોંચશે. અહીં બે મિનિટ રોકાયા બાદ ટ્રેન ૯-રર વાગ્યે લુધિયાણા પહોંચશે. ત્યાં બે મિનિટ રોકાયા બાદ ૧ર-૩૦ વાગ્યે જમ્મુ-તાવી પહોંચશે.
ટ્રેન બપોરના ર-૦૦ વાગ્યે કટરા પહોંચી જશે. કટરાથી દિલ્હી પરત આવવા ૩-૦૦ વાગ્યે રવાના થશે અને મોડી રાત્રે ૧૧-૦૦ વાગ્યે દિલ્હી પહોંચશે. રેલવે મંત્રાલયે દિલ્હી-કટરા રૂટ પર ‘વંદે ભારત’ ટ્રેનના ટ્રાયલ રનને લીલી ઝંડી આપી દીધી છે.