પડોશી બાંગ્લાદેશના ઢાકામાં રહેતી 16 વર્ષીય સગીરાને નોકરીની લાલચ આપી ભારતમાં લઈ આવ્યા બાદ દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવાઈ
સગીરાને બાંગ્લાદેશમાંથી વલસાડ લવાઇ
દેહવેપારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
સગીરાને ઘૂસણખોરી કરી ભારત લવાઇ
દેશના પડોશમાં આવેલા બાંગ્લાદેશમાંથી એક સગીરાને સારી નોકરી અપાવવાની લાલચે ભારત લાવવામાં આવી હતી. ભારતમાં લાવ્યા બાદ તેને વાપી અને મુંબઇ સહિત દેશના અન્ય રાજ્યોમાં નોકરીના બહાને ફેરવી હતી. જે બાદ સગીરાને દેહવેપારના ધંધામાં ધકેલવાનો ચોંકાવનારો કિસ્સો વલસાડમાં પ્રકાશમાં આવ્યો છે.
વલસાડ જિલ્લાના બાળ સુરક્ષા એકમના એકમ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા અત્યારે બાંગ્લાદેશી સગીરાનો કબજો લીધો છે. સાથે તેનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું છે. સમગ્ર ઘટના બે દિવસ અગાઉ વલસાડની સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી હતી. સારવાર માટે આવેલી એક અજાણી મહિલા સાથે એક બાળક અને એક સગીરા શંકાસ્પદ હાલતમાં હતી. આથી હોસ્પિટલ દ્વારા સગીરા અંગે સબંધિત વિભાગને સંપર્ક કરતા મહિલા પાસેથી બાળકીનો કબજો લેવામાં આવ્યો હતો. અત્યારે આ સગીરાનો વલસાડ જિલ્લા બાળ સુરક્ષા વિભાગએ કબજો લીધો હતો. અને સગીરાને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
સગીરાએ આપેલા નિવેદનથી ખ્યાલ આવ્યો છે કે, પડોશી દેશ બાંગ્લાદેશના ઢાકામાં રહેતી આ 16 વર્ષીય સગીરાને ડિસેમ્બર મહિનામાં રૂમા ઈસ્માઈલ અન્સારી નામની એક બાંગ્લાદેશી મહિલા ભારતમાં સારી નોકરી અપાવવાના બહાને લઈ આવી હતી. ભારત બાંગ્લાદેશની બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરાવી અને ભારત લાવી હતી. અને ત્યાર બાદ બાળકીને મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં રાખવામાં આવી હતી. અને તેને અહીંયા નોકરી નહીં પરંતુ બળજબરી પૂર્વક દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. અને બાળકીને મુંબઈના નાલાસોપારા સહિતના વિવિધ વિસ્તારોમાં દેહ વ્યાપાર શરૂ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ બાળકીને વાપી લાવવામાં આવી હતી. અને અહી પણ તેની પાસેથી દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો. અને વાપી લાવ્યા બાદ પણ આ બાળકીને જયપુરથી મુંબઈ સહિત દેશના અન્ય વિસ્તારોમાં પણ દેહ વ્યાપાર કરાવવા અલગ અલગ જગ્યાએ લઈ જવાતી હતી. એક મહિલા બાળકીને દેહ વ્યાપાર કરાવવા માટે લઈને ફરી રહી હતી. અને સગીરાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા લઈ આવી હતી. ત્યારે સગીરા કર્મચારીને શંકા જતાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
જે બાદ સગીરા વલસાડ બાળ સુરક્ષા વિભાગના કબજામાં છે. અને બાળકીનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. કાઉન્સિલિંગ કમિટી સમક્ષ બાળકીએ તેને પોતાના વતનમાં બાંગ્લાદેશ પરત મોકલી આપવાની માંગ કરી છે. આથી અત્યારે વલસાડ બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકીને નિયમ પ્રમાણે ચાઈલ્ડ હોમમાં મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પોલીસનો પણ સંપર્ક કરી અને બાળકીના વાલી વારસો અંગે બાંગ્લાદેશમાં તપાસ શરૂ કરવાની પણ તજવીજ હાથ ધરી છે. સગીરાએ પોતાના કાઉન્સિલિંગ વખતે બળજબરીની પીડા અંગે વાત કરી હતી. આથી બાળ સુરક્ષા વિભાગ દ્વારા પણ હવે આ બાબતને ગંભીરતાથી લઈને બાળકીને સુરક્ષા આપવાની સાથે પોલીસનો પણ સંપર્ક કર્યો છે.