ગુજરાત મોડલની દેશ વિદેશમાં ચર્ચા કરવામાં આવે છે. પરંતુ ગુજરાતનો વિકાસ માત્ર શહેરી વિસ્તારો પુરતો સિમિત હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અનેક ગામો એવા છે કે જ્યાં આજે પણ સારા રોડ રસ્તા નથી. અમૂક અંતરિયાળ ગામો એવા છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. ત્યારે વાત કરીશું વલસાડના ગામની. આ ગામના લોકોને બ્રિજ ન હોવાના કારણે લાકડાનો જાતે બનાવેલા પુલ પરથી જીવના જોખમે અવરજવર કરવા મજબૂર છે.
વલસાડથી 20 કિલોમીટર દૂર આવેલા કરદીવા અને માલવણ ગામના લોકો માટે આ રસ્તો ખુબ જ ઉપયોગી છે. લોકો આ રસ્તા પર જીવના જોખમે લાકડા અને વાંસમાંથી બનેલા પુલ પરથી પસાર થવા મજબૂર છે.
જો આ રસ્તો ન વાપરે તો 5 કિલોમીટર ફરીને જવું પડે છે. જેથી ગામના વિદ્યાર્થીઓ સહીત ગામના 700 લોકો આજ લાકડાના પુલ પરથી પસાર થાય છે. આ રસ્તાનો ઉપયોગ કરવાથી ગામના લોકોને સરળતા રહે છે તેથી તેઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે.
ઉલ્લેખનીય છે કે વલસાડના માલવણ ગામથી કરદીવા ફળીયાને જોડતો 800 મીટરનો રોડ આઠ વર્ષ પહેલાં પુરાણ કરી પાયો નંખાયો હતો અને કામચલાઉ રોડ તૈયાર કરાયો હતો. જેના પરથી કરદીવા ફળીયામાં વસવાટ કરતાં અંદાજીત 700 લોકો માલવણ ગ્રામના લોકો અવરજવર કરતા હતા.
પરંતુ આ કામચલાઉ કાચા રસ્તાને વહીવટી તંત્ર દ્વારા પાકો રસ્તો ન બનાવતા ચોમાસામાં આ રોડ ધોવાઈ ગયો હતો અને ઠેર-ઠેર રોડ પર મોટા મોટા ભૂવાઓ અને ગાબડાઓ પડયાં હતા. જેથી કંટાળી લોકોએ લાકડાનો પુલ બનાવી જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે કરદીવાથી માલવણને જોડતો પાકા રોડનાં અભાવને કારણે લોકોને માલવણ જવા માટે 5 કિ.મી ફરીને જવું પડે છે. જેના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે હેરાન થઈ રહ્યાં છે.
મહિલા સરપંચે આ રસ્તા બાબતે અનેક રજૂઆતો કરી છે. પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી અને લોકો આ લાકડાના પુલ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. પરંતુ તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવવા ધ્યાન આપતી નથી.