વલસાડ: આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા એડિચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 14 ફેબ્રુઆરીના રોજ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેશે.
આ દરમિયાન તેઓ ધરમપુરના લાલ ડુંગરી મેદાન પર જાહેર સભા સંબોધશે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવે તે પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અગ્રણી નેતાઓ ધરમપુરમાં પહોંચ્યા. આ દરમિયાન તેમણો રાહુલ ગાંધીની સભાના સ્થળનુ નિરીક્ષણ કર્યું હતું.
આ દરમિયાન અમિત ચાવડાએ આશાબેન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે આશાબેને ક્યાં જોડાવું એ એમનો વ્યક્તિગત નિર્ણય છે. કોઈ પણ આગેવાનને કાર્યકર્તાઓ જ મોટા નેતા બનાવે છે. આશાબેને કાર્યકરો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ત્યારે હવે કાર્યકરો આશાબેનને પરચો બતાવશે.
ઉલ્લેખનીય છે કે એક તરફ લોકસભાની ચૂંટણીનું રણશિંગૂ ફૂકાયું છે અને તાજેતરમાં જ કોંગ્રેસનો ગઢ ગણાતી ઊંઝા બેઠકના ધારાસભ્યએ નારાજગીને લઇને પક્ષમાંથી રાજીનામુ ધરી દીધું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વલસાડની મુલાકાતે આવી રહ્યા છે.
આગામી 14 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વલસાડના ધરમપુર ખાતેના લાલ ડુંગરી મેદાનમાં એક જાહેરસભાને સંબોધન કરવાના છે. જેને લઇને પ્રદેશ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત પક્ષના નેતાઓ આ સભાને લઇને ધરમપુર પહોંચ્યા છે.