આજના આધુનિક યુગમાં પણ લોકો ભગત ભૂવા અને તાંત્રિકોના ચક્કરમાં આવીને ઠગ અને તાંત્રિકોની માયાજાળનો ભોગ બને છે. આવો જ એક કિસ્સો વલસાડમાં સામે આવ્યો છે.
72 વર્ષીય વૃદ્ધાને 100 વર્ષ જીવવાના અરમાન ભારે પડ્યા
વૃદ્ધા 100 વર્ષના દીર્ઘાયુ માટે ઠગ તાંત્રિકોની જાળમાં ફસાયા
પારડી પોલીસે 2 તાત્રિકોની કરી ધરપકડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાં 72 વર્ષીય વૃદ્ધાએ 100 વર્ષ જીવન જીવવા અને ખેતીમાં સારી કમાણી કરવાના લાલચે તાંત્રિકોની માયાજાળનો ભોગ બન્યા અને લાખો રૂપિયાની સાથે સોના ના દાગીના પણ ગુમાવવાનો વારો આવ્યો છે.
જલારામ મંદિર બનાવવાના બહાને 2 શખ્સોએ વૃદ્ધાને ફસાવ્યા
મળતી વિગત પ્રમાણે, વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આમલી ગામ દિપલી ફળિયામાં રહેતા અને જીવનના છેલ્લા પડાવમાં પહોંચેલા 72 વર્ષીય નિર્મળાબેન પટેલ સ્વભાવે ધાર્મિક છે. તેમના આ જ સ્વભાવનો લાભ લઇ અને થોડા દિવસ અગાઉ બે યુવકો જલારામ મંદિર બનાવવાના લાભાર્થે ફાળો ઉઘરાવવાના બહાને વૃદ્ધાના ઘરે આવ્યા હતા. આથી વૃદ્ધાએ મંદિરના લાભાર્થે 1000 રૂપિયાનો ફાળો આપ્યો હતો.
દેવદુ:ખના બહાને 50 હજારથી વધુની રોકડ પડાવી
જોકે એ વખતે વૃદ્ધાની રગ પારખી ગયેલા આ બંને યુવકો જે હકીકતમાં તાંત્રિક હતા. તેઓએ વૃદ્ધાને પોતે તાંત્રિકવિધિ જાણતા હોવાનું જણાવી અને તેમના મગજમાં દેવ દુઃખનો વહેમ ઘુસાડ્યો હતું. ત્યારબાદ ફરી ઘરે આવી તેમને દેવ દુઃખ મટાડી દેવાનું બહાનું બનાવી વિધિ કરવી પડશે આવા બહાને તેમની પાસેથી 10 હજારથી લઈને 50 હજાર સુધીની રોકડ રકમ પડાવી હતી.
6 તોલા સોનુ પણ પડાવ્યું
પતિના અવસાન બાદ આ વૃદ્ધા એકલવાયું જીવન જીવતા હોવાથી ઠગ તાંત્રિકો વૃદ્ધાના ઘરે આવી અને તેમને પાસેથી વિધિના બહાને અંદાજે 6 તોલા જેવા સોનાના દાગીના પણ પડાવી લીધા હતા. આમ વૃદ્ધાની દુ:ખતી રગ પારખી ગયેલા આ તાંત્રિકોએ વધુ એક વખત વૃદ્ધાને 100 વર્ષ લાંબુ સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની સાથે ખેતીમાં પણ મબલખ આવકના આશીર્વાદ માટે તાંત્રિક વિધિ કરવાની લાલચ આપી અને ત્યારબાદ વૃદ્ધા પાસેથી મોટી રકમ પડાવી ચૂક્યા હતા.
વૃદ્ધાને છેતરાયા હોવાનું ભાન થતાં નોંધાવી ફરિયાદ
વૃદ્ધા ઠગ તાંત્રિકની માયાજાળમાં પૂરેપૂરા ફસાયા હોવાની જાણ થતા જ ફરી એક વખત ઠગ તાંત્રિકોએ ફોન પર સંપર્ક કરી એક મહત્ત્વની વિધિ કરવાની છે તેવું બહાનું બતાવી રૂપિયા 1 લાખની માંગ કરી હતી. જોકે આ વખતે વૃદ્ધા પોતે છેતરાઈ ગયા હોય અને ઠગ તાંત્રિકો ની માયાજાળનો ભોગ બન્યા હોય તેનું ભાન થતા તેમણે તેમના સ્વજનોને અંગે જાણ કરી હતી. આ મામલો વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આથી પારડી પોલીસ સ્ટેશનના પી એસ આઈ ગોહિલ એ ઠગ તાંત્રિકોને રંગેહાથ ઝડપવા છટકું ગોઠવ્યું અને વૃદ્ધાને વિશ્વાસમાં લઇ વિધિ કરવાના બહાને અને 1 લાખ રૂપિયા આપવાના બહાને ઠગ ભગત તાંત્રિકો ને ઘરે બોલાવ્યા. જોકે આ વખતે અગાઉથી જ ઘરમાં અને આસપાસના વિસ્તારમાં પોલીસ ગોઠવાઈ ગઈ હતી. ત્યારબાદ આ ઠગ તાંત્રિક વિધિ કરવા આવતા જ પોલીસે તેઓને રંગેહાથ ઝડપી પાડયા હતા.. આમ પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ આરોપી ઠગ ભગત તાંત્રિકો નવસારી જિલ્લાના ધોધમુવા ગામના રહેવાસી છે..
પોલીસે સાદા કપડામાં વોચ ગોઠવી
ઝડપાયેલ આરોપીઓ સાળા-બનવીનો સંબંધ ધરાવે છે. બ્રિજેશ અને બિરજુ નામના સાળા-બનેવીની આ ઠગ તાંત્રિકની માયાજાળમાંથી નિર્મલા બેન તો સલામત બચી ગયા છે. પારડી પોલીસ પી એસ આઈ ગોહિલની ત્વરિત એક્શનને પગલે નિર્મળા બેનના ઘરે સાદા કપડાંમાં પોલીસ વોચ રાખી આરોપીને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
પારડી પોલીસે આરોપીઓના રિમાન્ડ લઇ હજુ પણ આરોપીઓએ કેટલા લોકોને આવી રીતે પોતાની તાંત્રિક વિધિથી માયાજાળમાં ફસાવી અને કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે..?? આ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આરોપીઓની ધરપકડની સાથે જ આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા રોકડ રકમ પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.