નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. નવસારી અને વલસાડમાં સતત પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સતત ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. અહીં પુરથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે.
અત્યાર સુધીમાં નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 159 મીમી વરસાદ જ્યારે ડાંગના વધઇમાં 256 મીમી અને ગીર સોમનાથમાં 195 મીમી વરસાદ વરસ્યો છે. જેને લઇને ગામો પાણીમાં ડૂબી ચુક્યા છે.
ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી જૂનાગઢમાં રોકાઇ-રોકાઇને વરસાદ થઇ રહ્યો છે જેનાથી નદી-નાળા ઓવરફ્લો થયા છે. હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક સુધી ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.
દ.ગુજરાતના જિલ્લાઓને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદને લઇને 197 હાઇવે બંધ છે. સૌથી ખરાબ અસર દ.ગુજરાતના નવસારીને થઇ છે. વરસાદના કારણે નવસારીનો 77 નંબર હાઇવે બંધ છે.
ત્યારે તાપી સુરત વલસાડ અને ડાંગના કેટલાક રસ્તાઓ બંધ છે. બચાવ કામગીરી માટે એનડીઆરએફની 10થી વધુની ટીમ તૈનાત કરવામાં આવી છે.
ભારે વરસાદના કારણે નવસારી અને વલસાડની અંબિકા પૂર્ણા અને વેંગારી નદી ઓવરફ્લો થઇ છે. જ્યારે વલસાડ જિલ્લાની ઔરંગા નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. મધુબન ડેમમાં નવા નીરની આવક યથાવત રહી છે.
નવસારીની પૂર્ણા અને વેંગારી નદી જે ગામડાઓમાંથી પસાર થાય છે તે ગામોને ખેદાન મેદાન કરી નાખ્યા છે.
નવસારીમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. નવસારી જલાલપોર ગણદેવી વાંસદા ખેરગામમાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે પૂર્ણા નદીની જળસપાટી 17 ફૂટે પહોંચી છે. જ્યારે અંબિકા નદીની જળસપાટી 21 ફૂટે પહોંચી છે. તો તંત્ર દ્વારા પણ લોકોને નદીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.