તો અરવલ્લીના ભિલોડા પંથકમાં નળ સે જળ યોજના શોભાના ગાંઠિયા સમાન, ગામના નળમાં પાણી વગર કાટ લાગ્યા, છેલ્લા 5 વર્ષથી ગામના નળમાં પાણી નથી
જળ માટે વલખાં મારતા લોકો
ઘોટવડ ગામમાં કૂવાના દેખાયા તળિયા
ભિલોડામાં પાણીની સમસ્યા, મહિલાઓ 2 કિમી દૂરથી પાણી લાવવા મજબૂર
ગુજરાતમાં ઉનાળો શરૂ થતાંની સાથે જ પાણીની સ્થિતિ વિકટ બની છે. વલસાડના કપરાડા તાલુકાના ઘોટવડ ગામમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ ગામોમાં પણ પાણીનો પોકાર ઉઠ્યો. એક તરફ શહેરીજનો પાણીનો વેડફાટ કરી રહ્યા છે. જ્યારે ડુંગરાળ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં પીવાના પાણી માટે લોકો ફાંફા મારી રહ્યા છે.
ખાબોચીયામાંથી મહિલાઓ બેડામાં પાણી ભરે છે..!
ઘોટવડ ગામની મહિલાઓ 3 કિલોમીટર પગપાળા ચાલે ત્યારે એક કૂવો મળે છે.અને એ કૂવામાં પણ જીવના જોખમે અંદર ઉતરવું પડે છે.કેમ કે કૂવાનું તળિયું દેખાઈ રહ્યું છે. કૂવામાં પાણીનો એક સ્ત્રાવ વહીને આવે છે. જેનાથી એક ખાબોચીયું ભરાય છે. આ ખાબોચીયામાંથી મહિલાઓ બેડામાં પાણી ભરે છે.. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડુંગરાળ વિસ્તાર હોવાથી અહીં ટેન્કર નથી આવી શકતા.પણ અહીં સવાલ એ પણ છે કે સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો શું કરી રહ્યા છે.શું નેતાઓને ઓફિસ ચેમ્બરમાં બેસીને બિસલેરી બોટલના પાણી પીવાની જ લુફ્ત ઉઠાવતા રહેશે કે પછી ઉનાળો શરૂ થતાં ડુંગરાળ વિસ્તારના ગામમાં પાણીની શું સ્થિતિ છે તે પણ તપાસશે.. નેતાઓને માત્ર મતથી જ મતલબ છે? ગામમાં ટેન્કર નથી પહોંચી શકતા તો અન્ય કોઈ માર્ગ તો હશે ને પાણી પહોંચાડવા માટે.
કપરાડાના ધારાસભ્ય અને સ્થાનિક નેતાઓ શું કરી રહ્યા છે?
ઓફિસ ચેમ્બરમાં બેસી પાણી પિતા નેતાઓએ ઘોટવડની સ્થિતિ જોઈ ખરી?
ઘોટવડના ગ્રામજનો પાણીના એક ટિપા માટે તરસી રહ્યા છે
જીવ જોખમમાં મુકી મહિલા કૂવામાં પાણી ભરવા ઉતરે છે શું તમે જોયું?
હર ઘર જળના દાવાઓનું શું થયું?
સરકાર ગ્રામજનો સુધી ક્યારે પહોંચાડશે પીવાનું પાણી?
ટેન્કર નથી પહોંચી શકતું તો બીજો કોઈ માર્ગ કેમ નથી શોધાતો?
શું નેતાઓને માત્ર મતથી જ મતલબ છે?
અરવલ્લીના અંતરિયાળ ગામોમાં પાણીની વિકટ સમસ્યા
એક તરફ આકરા ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે.ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઇ ચુક્યો છે.તેવામાં અરવલ્લી જિલ્લાના અંતરિયાળ ગામોમાં પાણીની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત છે.તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં 24 હજાર કનેક્શનો અપાયા હોવાના દાવા કરાઈ રહ્યા છે.પરંતુ આ કનેકશનમાં પાણી આવ્યા કે નહીં તે વાતની તપાસ કદાચ તંત્ર દ્વારા કરવામાં નથી આવી.ભીલોડાના નવાગામ,નવા વેણપુર ગામે કે જ્યાં આશરે 3 હજારની વસ્તી વસવાટ કરે છે.આ ગામની મહિલાઓનો સવારે ઉઠતાની સાથે જ પાણી માટે સંઘર્ષ ચાલુ થઇ જાય છે.ગામની મહિલાઓ ધમધોકતા તાપમાં પાણી માટે 2 કિમી દૂર ચાલીને જવા મજબૂર છે.આ ગામમાં પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો દ્નારા નળ સે જળ યોજના દ્વારા 5 વર્ષ પહેલા ઘરે ઘરે નળ તો લગાવી દેવામાં આવ્યા છે પરંતુ નળમાં પાણી આવ્યુ નથી.હાલ તો આ ગામની મહિલાઓ પાણી માટે સંઘર્ષ કરી રહી છે.અને ગામમાં લાગેલા નળમાં કાટ લાગી ગયા છે.