વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં 5 જેટલા સુપ્રસિદ્ધ મંદિરો પણ આવેલા છે. જ્યા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, ખાસ કરીને શનિ અને રવિવારે.
ગુજરાતના આ જિલ્લામાં શનિ-રવિ મંદિરો બંધ રાખવા
વલસાડમાં કોરોના સંક્રમણ વધતા મંદિરો બંધ
વલસાડમાં છેલ્લા 10 દિવસમાં 830 કેસ નોંધાયા
વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે જિલ્લામાં આવેલા મહત્વના 5 જેટલા મંદિરો શનિ-રવિની રજાના દિવસોમાં બંધ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ આ મંદિરોમાં શનિ-રવિની રજામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા આવતા હોય છે. જેના કારણે મંદિર સંચાલકો તથા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આ મંદિરો શનિ-રવિ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે જ ચાલુ દિવસે આવતા દર્શનાર્થીઓનો કોરોના ટેસ્ટ કરીને જ તેમને પ્રવેશ આપવામાં આવે છે.
છેલ્લા 10 દિવસમાં 830 કેસ નોંધાયા
વલસાડ જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં જિલ્લામાં 830 જેટલા કેસ નોંધાવાના કારણે વહીવટી તંત્ર ચિંતામાં વધારો થયો છે. જેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના પાંચ મહત્વના મંદિર સંચાલકો સાથે બેઠક કરી મહત્વનો નિર્ણય લીધો છે.
કયા મંદિરો રહેશે બંધ?
વલસાડ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ તિથલ સાઈ મંદિર, સ્વામિનારાયણ મંદિર, પારનેરા મંદિર, તળકેશ્વર મહાદેવ મંદિર અને વૈષ્ણવ દેવી મંદિર શનિ-રવિના રજાના દિવસોમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે અન્ય દિવસોમાં મંદિર પરિષદ ખાતે બહારથી આવતા લોકોના સ્ક્રીનીંગ તથા કોરોના ટેસ્ટ કરવા માટે આરોગ્યની ટીમ ગોઠવવામાં આવી છે. જિલ્લામાં વધતા સતત કોરોના સંક્રમણને લઈ વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે મહત્વના ધાર્મિક સ્થળો બંધ કરવાનો નિર્ણય લીધો છે.