પાર, તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની જાહેરાત કેન્દ્ર સરકારે બજેટમાં કરી હતી, આદિવાસીઓને વિસ્થાપિત થવાનો સતાવી રહ્યો છે ડર
રિવર લિંક પ્રોજેક્ટથી આદિવાસીઓમાં ભય
તેમની જમીન અને ઘર જતા રહેવાનો ડર
પ્રોજેક્ટના વિરોધમાં યોજાઈ રેલી
કેન્દ્ર સરકારના નદીઓના જોડાણને લઈને રિવર લિંક પ્રોજેક્ટનો વલસાડ જિલ્લાના ધરમપુરમાં પુરજોશમાં આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યો છે.તેમાં વાસંદાના ધારસભ્ય, આદિવાસી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ભારે વિરોધ સાથે સુત્રોચ્ચાર કરીને મામલતદારને આવેદન આપીને પ્રોજેક્ટના વિરોધમાં રેલી યોજી હતી.ત્યારે સવાલ એ થાય કે આ રિવર લિંક પ્રોજેક્ટ શું છે.તેનાથી આદિવાસી સમાજને કેમ સમસ્યા છે.કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે.આ તમામ વાતો જાણિશું આ વિશેષ અહેવાલમાં.
આદિવાસી પરિવારો વિસ્થાપિત થવુ પડે તેવી શક્યતાઓ
વિરોધમાં નિકળેલી આ વિશાળ રેલીના દ્રશ્યો વલસાડ જિલ્લાના ધરમપુરના છે.સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર થઈ રહ્યા છે.આદિવાસી સમાજની જય બોલવામાં આવી રહી છે.આ રેલી આદિવાસી સમાજે રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં કાઢી છે.વિરોધ કરી રહેલા આદિવાસી સંગઠનો અને લોકોના મતે સરકાર પાર, તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ નો અમલ કરવા જઈ રહી છે.આ પ્રોજેક્ટથી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પાર નદી પર આવેલા ચાસમાંડવા ગામ નજીક એક ડેમ બનાવવામાં આવી શકે છે. જો ડેમ બને તો આ વિસ્તારના અસંખ્ય આદિવાસી પરિવારો વિસ્થાપિત થવુ પડે તેવી શક્યતાઓ છે.આ જ કારણે આદિવાસી સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.
રેલી દરમિયાન ધરમપુર મામલતદાર કચેરીનો થયો ઘેરાવો
કેન્દ્ર સરકારે આ રિવર લિંક પ્રોજેક્ટનો ઉલ્લેખ બજેટમાં કર્યો હતો.પરંતુ નર્મદા ડેમની ઉંચાઈ વધારવા માટે થઈને જે રીતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપન કરવાનો વારો આવ્યો હતો.વળતરની પણ ચૂકવણી સમયસર ન થતા તેમને હાઈકોર્ટનો દરવાજો ખટખટાવો પડ્યો હતો.આ જ ડર વલસાડના આદિવાસી સમાજના લોકોને સતાવી રહ્યો છે.જો નદીઓનું જોડાણ કરવામાં આવશે,.તો તેની ઉપર ડેમ બાંધવામાં આવશે.જેના કારણે આદિવાસી સમાજના મોટા વર્ગને વિસ્થાપિત થવું પડશે.આ જ કારણથી મોટી સંખ્યામાં ધરમપુરના ચોકમાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા.અને રેલી કાઢી હતી.શરૂઆતમાં પોલીસ સાથે સામાન્ય બોલચાલ થઈ હતી પરંતુ પોલીસે રેલીની પરવાનગી આપતા ભેગા થયેલા લોકોએ મામલતદારને આવેદન પત્ર સોંપ્યો હતો. રેલી દરમિયાન ધરમપુર મામલતદાર કચેરીનો ઘેરાવો થયો હતો.પોલીસે ટ્રાફિક જાળવતા કાર્યવાહી કરતા ઘર્ષણ થયુ હતું અંતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને શાંતિપૂર્વક માહોલમાં આદીવાસી સમુદાયની રેલી પૂર્ણ થઈ હતી.
રિવર લિંક પ્રોજેકટનો વિરોધ કેમ ?
સરકારના સર્વે પ્રમાણે 37 ગામ અને 35 હજાર જેટલાં કુટુંબ અસરગ્રસ્ત
સ્થાનિકોના મતે સરકારનો આ સર્વે ખોટો
માત્ર ડાંગ જિલ્લાના જ 75 જેટલાં ગામને થશે અસર
વિસ્થાપિતો માટે હજુ સુધી સરકારે નથી કરી કોઈ જાહેરાત
આદિવાસી ક્ષેત્ર હોવાથી તેમની નિર્ભરતા ખેતી પર
લોકોની ખેતીની જગ્યા જાય અને ઘરવિહોણા બને તેવી શક્યતાઓ
સ્થાનિકોને ખેતી છોડીને સરકાર જે જમીન આપે તેમાં સ્થાયી થવું પડે
કેન્દ્ર સરકાર બજેટમાં આ રિવર લિંક પ્રોજેક્ટની વાત કરે છે
રાજ્ય સરકારના મંત્રીઓ કહે છે આ યોજના શરૂ જ નથી થવાની
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનનો અભાવ: ધારાસભ્ય અનંત પટેલ
આદિવાસી સમાજના વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા વાસંદાના ધારસભ્ય અનંત પટેલનુ કહેવુ છે કે સરકારે જેટલા લોકોના રહેઠાણ ડૂબમાં જવાના છે.તેના કરતા એ સંખ્યા ખૂબ વધારે છે.માટે અમે વિરોધ નોંધાવી રહ્યા છે.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓના વચ્ચે સંકલનનો અભાવ હોવાનું જણાવ્યું હતું.એક તરફ કેન્દ્ર સરકાર બજેટમાં આ લિંક પ્રોજેક્ટની વાત કરે છે.તો બીજી બાજુ ગુજરાત સરકારના મંત્રીઓ આ યોજના અમલમાં જ નથી મૂકાવાના તેવા જાહેરમાં દાવા કરી રહ્યા છે. સરકારને ચેતવણી આપતા ધારાસભ્યએ કહ્યું કે.કે ભૂલથી પણ સરકાર આ વિસ્તારમાં ડેમ બનાવાનો પ્રયત્ન ન કરે.બાકી સરકારને આદિવાસી સમાજના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડશે.
કેન્દ્ર સરકાર દેશભરની નદીઓના જોડવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.ત્યારે રાજ્ય સરકાર કદાચ પ્રોજેક્ટ વિશે વલસાડના જિલ્લાના આદિવાસી સમાજને સમજાવવમાં અસમર્થ સાબિત થઈ રહી છે.જ્યા અસુવિધા હોય ત્યાં વિકલ્પ શોધવામાં આવે સાથે રાજ્ય સરકારે આદિવાસી સમાજને પ્રોજેક્ટનું મહત્વ અને તેમની ભૂમિકા પણ સમજાવવી જોઈએ.