ગુજરાતમાં હાલ કોરોનાકાળ વચ્ચે પેટાચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ માટે વલસાડમાંથી માઠા સમાચાર સામે આવ્યાં છે. ઉમરગામ તાલુકા કોંગ્રેસમાં ગાબડુ પડતા અંદાજે 2000 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાનો દાવો કરવામાં આવ્યો છે.
વલસાડમાં પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો
ઉમરગામ તાલુકા કોંગ્રેસમાં ગાબડું
કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
જ્યારે જ્યારે રાજ્યમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણીની મોસમ આવે ત્યારે પક્ષપલટાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવતા હોય છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં એકબીજામાં પક્ષાંતરણની રાજનીતિ જોર પકડતી હોય છે.
ત્યારે પેટાચૂંટણી પહેલા વલસાડમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ઉમરગામ તાલુકા કોંગ્રેસમાં ગાબડું પડેલું જોવા મળ્યું છે. કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
પેટાચૂંટણી પહેલા સરીગામ-આસપાસના ગામના કોંગ્રેસ કાર્યકરોએ પક્ષપલટો કર્યો છે. રાજ્યના મંત્રી રમણ પાટકરે તમામ કોંગ્રેસ કાર્યકરોને ખેસ પહેરાવી આવકાર્યા છે. અંદાજે 2000 જેટલા કોંગી કાર્યકર ભાજપમાં જોડાયાનો દાવો કરવામાં આવ્યો છે.