વલસાડઃ ધરમપુર તાલુકાના વિલ્સનહિલ નજીક એક મોટી દુર્ઘટના ટળી હતી. જેમાં પહાડીના ઢોળાવવાળા વળાંક પર એક લક્ઝરી બસ રસ્તાની બાજુના ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં 25 લોકોના ચમત્કારિક બચાવ થયો હતો.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના કેટલાક પરિવારો એક મિની લક્ઝરી બસમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જાણીતા સ્થળ વિલ્સનહિલ ફરવા આવ્યા હતા. જોકે બસ આ જતી વખતે તો સફળ રીતે પહોંચી ગઇ હતી. પરંતુ પરત ફરતી વખતે વિલ્સનહિલથી આગળ આવધા ગામ નજીક તીવ્ર ઢોળાવ અને વળાંક પર અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેથી બસ બેકાબુ બનતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી બેકાબૂ બસ રસ્તા અને ઊંડી ખીણ વચે બાવેલી ડિવાઈડરની દીવાલ સાથે ધડાકા સાથે ટકરાઈ હતી.
બસમાં સવાર લોકોના જીવ આથી અધ્ધર થઈ ગયા હતા અને લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ બસમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતાં. જો આ ડિવાઈડર તોડી બસ આગળ વધી હોત તો બસ ઊંડી ખીણમાં ખાબકી હોત. પરંતુ ચમત્કારી રીતે બસ ડિવાઈડર સાથે ટકરાઈ અટકી જતા 25 લોકોનો ચમત્કારીક બચાવ થયો હતો.
જોકે આ ઘટનામાં 10થી વધુ લોકોને નાની-મોટી ઇજા થઈ હતી. જેઓને તાત્કાલિક સારવાર માટે ધરમપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આમ આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા એક મોટી દુર્ઘટના ટળી હતી. 25 લોકોનો ચમત્કારિક બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.